હવાઈસેના બાદ નૌસેનાની ઓક્સિજન એક્સપ્રેસ શરૂ
ઓક્સિજન પહોંચાડવા મદદ કરવાનો પ્રયાસ : ૩૫ જેટલા ઓક્સિજન સિલિન્ડરની સાથે રેપિડ એન્ટીજન કિટ, પીપીઈ કિટ, માસ્ક, બીજા ઉપકરણો પણ પહોંચાડ્યા
નવી દિલ્હી, તા. ૨૬ : કોરોના મહામારી વચ્ચે રેલવે બાદ ભારતીય નૌસેનાએ ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરી છે.આ અભિયાન પાછળનો ઈરાદો દરિયા કિનારાના એવા વિસ્તારોમાં ઓક્સિજન પહોંચાડવાનો છે જ્યાં સામાન્ય રીતે ઓક્સિજન પહોંચાડવો મુશ્કેલ હોય છે. નૌસેના પોતાના જહાજ થકી હવે કોચિથી લઈને લક્ષ્યદ્વિપ સુધી ઓક્સિજન સિલિન્ડર તેમજ બીજો મેડિકલ સપ્લાય પહોંચાડી રહી છે.આ માટે નેવીએ પોતાનુ પેટ્રોલિંગ જહાજ આઈએનએસ શારદા તૈનાત કર્યુ છે.જેણે ૩૫ જેટલા ઓક્સિજન સિલિન્ડર સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ, પીપીઈ કિટ, માસ્ક અને બીજા ઉપકરણો પણ ક્વારત્તી ટાપુ પર પહોંચાડ્યા છે.
એ પછી તે બીજા ટાપુ પર જવા રવાના થયુ હતુ.આ સિવાય ૪૧ ખાલી ઓક્સિજન સિલિન્ડરને નેવી તરફથી હાયર કરાયેલા બીજા જહાજ પર લાદવામાં આવ્યા હતા.આ સિલિન્ડર કોચીથી ભરીને જહાજ ફરી લક્ષદ્વિપ ટાપુ પર પહોંચશે.
આ સિવાય નૌસેનાના સધર્ન કમાન્ડે પોતાના અન્ય એક જહાજ સંજીવની પર ૧૦ બેડ રિઝર્વ કર્યા છે.જેનો ઉદ્દેશ જરૂર પડે તો લક્ષ્યદ્વિપ ટાપુ પરના દર્દીઓને ભરતી કરવાનુ છે.