રેમડેસિવિરની પણ જરૂર હોતી નથી : ડો. ગુલેરિયા
૯૦ ટકા દર્દીઓમાં તાવ - શરદી જેવા મામુલી લક્ષણ : ઓકસીજનની જરૂર હોતી જ નથી
નવી દિલ્હી તા. ૨૬ : એમ્સ ડાયરેકટર ડો. રણદીપે ગુલેરિયાએ જણાવ્યું છે કે, લોકો ડરના માર્યા રેમડેસિવિર અને ઓકિસજન સિલિન્ડર ઘરમાં જમા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ૧૦થી ૧૫ ટકા કોરોના દર્દીઓને જ આની જરૂર હોય છે. તેમણે કહ્યું કે, સૌએ સમજવું જોઇએ કે કોવિડ મહામારી ગંભીર બીમારી નથી. આ ફકત ૧૦થી ૧૫ ટકામાં જ ગંભીર હોય છે અને તેમને હોસ્પિટલ લઇ જવાની જરૂર પડે છે. તેમણે કહ્યું કે, 'હું એ કહીશ કે કોવિડ-૧૯ મહામારી છે, તે મોટાભાગના કેસોમાં એક સામાન્ય સંક્રમણ છે. ૯૦થી ૯૫ ટકા લોકોમાં સામાન્ય તાવ, શરદી, ગળામાં ખરાશ, શરીરમાં દુઃખાવા જેવા લક્ષણો હોય છે. આમને ના ઓકિસજનની જરૂરિયાત રહે છે, ના રેમડેસિવિરની અને ના વધારે દવાઓની દવાઓની જરૂર પડે છે.'
તેમણે જણાવ્યું કે, આવા સામાન્ય લક્ષણોવાળાએ શું કરવું જોઇએ. ડો. ગુલેરિયાએ કહ્યું કે, 'તાવ, શરદી વગેરેની દવા લો, ઘરેલૂ ઉપચાર અપનાવો, નાસ લો, યોગ કરો. આનાથી તમે ઠીક થઈ જશો. તમારે ઘરમાં ના ઓકિસજન રાખવાની જરૂર છે અને ના રેમડેસિવિર. તમે આરામથી અઠવાડિયા – ૧૦ દિવસમાં ઠીક થઈ જશો.' તેમણે એ પણ કહ્યું કે, ૧૦-૧૫ ટકા લોકોમાં ગંભીર સંક્રમણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આવા લોકોએ શું કરવું જોઇએ.
તેમણે કહ્યું કે, 'આવા લોકોને ઓકિસજનની સાથે દવાઓની જરૂર પડી શકે છે, જેમાં સ્ટ્રોઇડ્સ છે, રેમડેસિવિર પણ છે, કયારેક અમે પ્લાઝમા પણ આપીએ છીએ. ૫ ટકાથી પણ ઓછા દર્દી હોય છે જેમને વધારે તેજ દવાઓ આપવાની જરૂર પડે છે અથવા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડે છે.' ડો. ગુલેરિયાએ કહ્યું કે, પહેલી વાત એ કે કોરોના વાયરસથી સામાન્ય સંક્રમણ થાય છે, ૧૦થી ૧૫ ટકા લોકોમાં આ ગંભીર થઈ શકે છે. બીજી વાત એ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની તપાસમાં સ્પષ્ટ થઈ શકે છે કે રેમડેસિવિરથી ના તો દર્દીઓનો જીવ બચે છે, ના હોસ્પિટલમાં તમારા ભરતી થવાનો સમય ઘટે છે.