બગદાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ : ૮૨ દર્દીના મોત
અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે : વિસ્ફોટ ઓક્સિજન સિલિન્ડરના સંગ્રહના પરિણામે થયો
બગદાદ, તા. ૨૫ : વિશ્વમાં કોરોના સંકટ વચ્ચે દુખદ સમાચારોનો સિલસિલો યથાવત છે. એએફપી પ્રમાણે ઇરાકની રાજધાની બગદાદમાં એક કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગવાને કારણે ૮૨ લોકોના દુખદાયક મોત થયા છે અને ૧૧૦ લોકો દાઝી ગયા છે. આગ હોસ્પિટલના ઇન્ટેસિવ કેયર યુનિટમાં લાગી, જ્યાં કોવિડથી સંક્રમિત દર્દીઓ દાખલ હતા.
સૂત્રોએ કહ્યું કે, વિસ્ફોટ ઓક્સિજન સિલિન્ડરના સંગ્રહમાં થયેલી ભૂલને કારણે થયો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે ઇરાકની રાજધાનીના દક્ષિણ-પૂર્વી બહારી વિસ્તારમાં સ્થિત અબ્ન-અલ-ખતીબ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર જવાનો પહોંચ્યા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તો દર્દીઓ અને તેના સંબંધીઓને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
નાગરિક સુરક્ષાએ ઇરાકી રાજ્ય સમાચારને જણાવ્યું કે, તેમણે ઘટનાસ્થળ પર ૧૨૦ દર્દીઓ અને તેના સંબંધીઓમાંથી ૯૦ લોકોને બચાવ્યા છે.
બુધવારે ઇરાકમાં કોવિડ-૧૯ મામલાની સંખ્યા ૧૦ લાખથી વધી ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રલાયે કુલ ૧,૦૨૫,૨૮૮ કેસ નોંધ્યા અને ૧૫૨૦૧૭ મોત થયા છે. દેશમાં પ્રથમ કેસ ફેબ્રુઆરી ૨૦૨૦માં સામે આવ્યો હતો.