મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

ગર્ભવતી મહિલાઓના પૈસા પણ કોંગ્રેસે લૂંટી લીધા : નરેન્દ્રભાઇ મોદીનો દાવો

મધ્યપ્રદેશના જબલપુરમાં મોદી દ્વારા આક્રમક ચૂંટણી પ્રચારઃ નોટબંધીની અસરથી સામાન્ય વ્યક્તિ માટે ઘરની કિંમત ઘટી ગઈ : કમલનાથ સરકાર આવતાની સાથે જ ટ્રાન્સફર ઉદ્યોગમાં તેજી આવી ગઈ હતી : નરેન્દ્રભાઇ મોદી

જબલપુર, તા. ૨૬: મધ્યપ્રદેશના જબલપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વારાણસી ખાતે ગુરુવારના દિવસે ભવ્ય રોડ શો અને આજે શુક્રવારના દિવસે ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ સીધા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. મોદીએ અહીં પ્રચાર દરમિયાન કોંગ્રેસની નવી સરકારના રેકોર્ડ છ મહિનાની અંદર જ તુગલકરોડ કૌભાંડ સાથે સરખાવીને પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં નોટથી ભરેલા થેલા મળી રહ્યા છે. મોટી પેટીઓ નોટથી ભરેલી કોંગ્રેસી જમાત પાસે મળી રહી છે જ્યારે કાળા નાણાં અને ભ્રષ્ટાચારની સામે કાર્યવાહી કરવામાં આવી ત્યારે તમામ ચીજવસ્તુઓ સપાટી ઉપર  આવી હતી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં બનેલી મોદીની સરકાર હજુ સુધી કોઇપણ લોકલક્ષી કામ કરી શકી નથી પરંતુ કેટલાક કામ ચોક્કસપણે કરી ગઈ છે જે પૈકી એક કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખોરવી નાંખવાનું કર્યું છે. અપહરણકારો અને ધાડ પાડનાર લોકોને તાકાત મળી ગઈ છે. ટ્રાન્સફર ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે. નોટબંધીની અસરથી સામાન્ય વ્યક્તિ માટે ઘરની કિંમત ઘટી ગઈ હતી પરંતુ કોંગ્રેસ પાર્ટીના ભ્રષ્ટાચારના જે પૈસા તેઓએ આ સેક્ટરમાં લગાવ્યા હતા તે ડુબી ગયા છે. કમલનાથ સરકાર પર લૂંટનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે જે પૈસા ગરીબોની ભલાઈ માટે દિલ્હીથી ચોકીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. આદિવાસી મહિલાઓ, સગર્ભા મહિલાઓ અને અન્યો માટે જે નાણાં મોકલવામાં આવ્યા હતા તે પૈસા પણ મધ્યપ્રદેશે ચૂંટણીમાં વાપરી કાઢ્યા છે. મધ્યપ્રદેશમાં જે સરકાર હાલના લોકોએ ચૂંટી કાઢી છે તે લોકોએ લુંટી લીધા છે. વડાપ્રધાને પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, આ પ્રકારના લોકોને ક્યારેય મત આપી શકાય નહીં. ગરીબ લોકોના પૈસા પણ લૂંટી લેવામાં આવ્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. આની સાથે જ આ લોકસભા ક્ષેત્રમાં ઉત્સુકતા વધી ગઈ હતી. નોમિનેશનના પાંચમાં દિવસે કલેક્ટોરેટમાં મોદીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. કલેક્ટર રુમમાં પ્રવેશ થતાંની સાથે જ મોદીએ તમામ પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ મહિલા પ્રસ્તાવક અન્નપૂર્ણા શુક્લાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

(9:35 pm IST)