મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

આસામની ઐતિહાસિક મસ્જિદ હાઇ-વે બનવવાને આઠે આવતા ટ્રાન્સપોર્ટ દ્વારા અન્ય જગ્યાએ સિફ્ટ કરાઇ

નવી દિલ્હી: આસામની એક ઐતિહાસિક મસ્જિદ હાઈવે બનાવવાને આડે આવી રહી હતી જેના કારણે મસ્જિદને ટ્રાન્સપોર્ટ દ્વારા બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવાઈ છે. શ્રમિકોની મદદથી 100 વર્ષ જૂની 2 માળની ઐતિહાસિક મસ્જિદની દીવાલોને અલગ અલગ ભાગોમાં વહેંચીને નૌગાંવના પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મસ્જિદને શિફ્ટ કરવામાં લાગેલા એન્જિનિયર ગુરદીપ સિંહે જણાવ્યું કે એનએચ 37માં સ્થિત મસ્જિદને સુરક્ષિત રીતે નૌગાંવથી પુરાનીગુડમમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. કારણ કે એનએચ 37ને ફોરલેન હાઈવેમાં ફેરવવામાં આવી રહ્યો છે. મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ 15થી 20 દિવસની અંદર પૂરું થઈ જશે.

સિંહે આગળ જણાવ્યું કે મસ્જિદને તોડ્યા વગર હાઈડ્રોલિક સિસ્ટમ દ્વારા મીનારનું શિફ્ટિંગ કામ કરવામાં આવી રહ્યું છે. મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ હરિયાણા સ્થિત કંપની આર આર એન્ડ સન્સ પાસેથી મંગાવવામાં આવેલા હાઈડ્રોલિક સિસ્ટમ દ્વારા શક્ય બની શક્યું છે. મસ્જિદને શિફ્ટ કરવાના કામમાં લગભગ 100થી વધુ લોકો કામ કરી રહ્યાં છે. સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને કામ થઈ રહ્યું છે. કામ બે ફેઝમાં પૂરું કરાશે.

અત્રે જણાવવાનું કે મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ લગભગ 50 ટકા પૂરું થઈ ગયું છે. મસ્જિદના શિફ્ટિંગમાં લાગેલા એક અધિકારીએ જણાવ્યું કે નેશનલ હાઈવેના કન્સ્ટ્રક્શનના કામમાં મસ્જિદના કારણે મુશ્કેલીઓ આવી રહી હતી. જેના કારણે પ્રશાસન પાસેથી મંજૂરી લઈને તેને એકથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

મસ્જિદને શિફ્ટ કરતા પહેલા મુસ્લિમ સમુદાય સાથે પણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની મંજૂરી મેળવ્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. અત્રે જણાવવાનું કે 100 વર્ષ જૂની મસ્જિદ 1950માં આવેલા ભૂકંપ વખતે પણ અડીખમ રહી હતી.

(4:49 pm IST)