રામકથા સહિતના સદ્દકાર્યો જોડવાનું કાર્ય કરે છેઃ પૂ. મોરારીબાપુ
દક્ષિણ આફ્રિકાનાં રવાંડામાં આયોજીત ''માનસ હનુમાન'' શ્રી રામકથાનો સાતમો દિવસ
રાજકોટ તા.૨૬: દક્ષિણ આફ્રિકાનાં કિગાલી-રવાંડામા આયોજીત ''માનસ હનુમાન'' શ્રી રામ કથાનો આજે સાતમો દિવસ છે. વ્યાસાસને બિરાજમાન પૂ. મોરારીબાપુએ કહ્યું હતંુ કે, શ્રી રામકથા, સત્સંગ, શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, શ્રી શિવપુરાણ કથા સહિતના કાર્યો જોડવાનું કામ કરે છે. આવા કાર્યોના કારણે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રત્યે આસ્થામાં વધારો થાય છે.
પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામ કથાના છઠ્ઠા દિવસે કહ્યું હતું કે, ઔષધિઓ ઘણી છે. જેમાં પ્રેમ- મુહોબ્બતની ઓૈષધિએ સોૈથી ઉત્તમ છે. એ ઉપરાંત ગંગાજળ, હનુમાનજીનું સ્મરણ, ભગવાનની ભકિત, અન્ન, રામચરિત માનસ, બુદ્ધપુરૂષની ચરણરજ સૂર્ય પરમાત્માનું નામ બુદ્ધપુરૂષનું વચન એ ઓૈષધિઓ છે.
સાધક પોતાના બુદ્ધપુરૂષ અને બેઠો હોય છતાં એને સંદેહ, સંશય કેમ જન્મે છે? જેમ કે, સતીને, શિવજી-ત્રિભુવનગુરૂ પાસે હોવા છતાં સંશય જન્મ્યો, ચિત્રકુટમાં રામજી સાથે હોવા છતાં ભરતને સંદેશ જન્મ્યો, એનું કારણ શું ? આ જિજ્ઞાસા સંદર્ભે બાપુએ અદ્દભુત વાત કરી કે, અત્યંત પ્રેમ સંશય-શંકા પેદા કરે જ. તમને જેના પ્રત્યે અત્યંત લાગણી હોય, પ્રેમ હોય ત્યારે તમને શંકા થાય જ એ સ્વાભાવિક છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, પ્રેમ પ્રગટ થવાનું સૌથી પહેલું કારણ (૧)શ્રવણાત-કોઇ વિશે તમે સાંભળો અને એ સાંભળતા સાંભળતા જ પ્રેમ પ્રગટ થાય. (ર) સ્મરણાત-સ્મૃતિ. કોઇનું સ્મરણ , (૩) દર્શનાત-કોઇના દર્શન માત્રથી પ્રેમ પ્રગટ થાય. દર્શન આંખ બંધ કરીને થાય અને અવલોકન આંખ ખોલીને થાય. જેટલી માત્રામાં અંતઃકરણ શુદ્ધ હશે એટલી માત્રામાં સાત્વિક સંપદા આપણી અંદર આવવા માટે થનગનતી હોય છે. તમને કોઇ પ્રત્યે આસકિત હોય તો, પોતાને કયારેય કોસો નહીં પરંતુ એ આસકિતને સમભકિતના જળમાં નવડાવો, (૪) સ્પર્શાત- સ્પર્શથી પણ પ્રેમ પ્રગટ થાય છે.