લોકતંત્ર જીતે એમા મને રસ છે : ચૂંટણી હું કાલે જ જીતી ગયો
મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્રક ભર્યા પહેલા કાર્યકર્તાએ કર્યા સંબોધિત : કાલ ભૈરવના કર્યા દર્શનઃ બનારસની ચૂંટણી એવી હોવી જોઇએ કે દેશના પોલિટિકલ પંડિતોને તેના પર પુસ્તક લખવાનું મન થાય : મોદી
કાશી તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી સંસદીય સીટ પરથી બીજી વાર ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મોદી ડી પેરિસ હોટલમાં બુથ અધ્યક્ષ અને અન્ય અધિકારીઓને સંબોધન કર્યું હતું. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દિવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે.
વડાપ્રધાને કહ્યું હું છેલ્લા દોઢ મહિનાથી આખા દેશમાં ફરી રહ્યો છું. હું-અમિત શાહ-યોગી અમે બધા તો નિમિત છે, બાકી આ વખતે તો દેશની જનતા ચૂંટણી લડી રહી છે. પહેલીવાર લોકોએ જોયું કે સરકાર ચાલે પણ છે. પીએમએ કહ્યું કે, મેં કયારેય એવું નથી કહ્યું કે, હું પીએમ હોવાથી હવે પાર્ટીને સમય નહીં આપી શકું. ૫ વર્ષમાં એક કાર્યકર્તા તરીકે પાર્ટીએ જયારે પણ સમય માંગ્યો ત્યારે મેં કદી ના નથી પાડી. કાર્યસમિતિની બેઠકમાં પણ કાર્યકર્તા તરીકે સંપૂર્ણ સમય બેસુ છું. આપણે બધા ભારત માતાની સેવા કરી રહ્યા છીએ. આ વખતે માત્ર મોદી ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ સમગ્ર જનતા ચૂંટણી લડી રહી છે.
ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાલે મેં જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની સુગંધ આવતી હતી. હું પણ એક સમયે બુથ કાર્યકર્તા રહ્યો છું. મને પણ દિવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમએ કહ્યું, આજે દેશમાં લોકો જાતે જ કહી રહ્યા છે કે, ફરી એક વાર, મોદી સરકાર. આ વખતે પોલિટિકલ પંડિતોને ખૂબ માથુ ખપાવવું પડશે. જનતાએ નક્કી કરી લીધું છે તેમને શું કરવું છે. આ ઈતિહાસમાં પહેલો મોકો છે જયારે આ રીતે ચૂંટણી લડવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ. અમારો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે. મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરૂષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ.
મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા પછી કલેકટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. આ દરમિયાન એનડીએના ખાસ નેતાઓ સહિત પાંચ રાજયોના મુખ્યમંત્રી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહેશે.