મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

દિલ્હીમાં પરિસ્‍થિતિ નિયંત્રણમાં: એક દિવસમાં માત્ર કોરોનાનો એક જ કેસ વધ્યોઃ અરવિંદ કેજરીવાલના રાહતરૂપ સમાચાર

નવી દિલ્હી: કોરોના વાયરસના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલ કોરોનાના 36 પોઝીટિવ કેસ છે. જેમાંથી 26 વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જેટલી પણ જરૂરી સુવિધાઓ આપનારા લોકો છે, તેઓ 1031 નંબર પર ફોન કરીને પોતાનો ઈ-પાસ લઈ શકે છે. જે ફેક્ટરીવાળાઓને પોતાના કર્મચારીઓ માટે પાસ જોઈએ છે, તેઓ પણ આ પ્રોસેસમાંથી મદદ મેળવી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, SDM અને ACP એ નક્કી કરી લે કે, શાકભાજી દૂધ, રાશન જેવી જરૂરી સુવિધાઓની જ દુકાન ખૂલે અને તે દુકાનો પર પણ સામાન મળે.

કેજરીવાલે તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા કહ્યું કે, જે લોકો પોતાના ઘરોમાં નથી રહ્યાં તે લોકોને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહે. જ્યાં સુધી બહાર નીકળવું બહુ જ જરૂરી ન હોય તો ન નીકળો. નહિ તો કેટલાક લોકોની ભૂલનું પરિણામ આખા દેશને ભોગવવું પડશે.

મોહલ્લા ક્લીનિકના એક ડોક્ટરે કોરોના સંક્રમિત થવા પર મુખ્યમંત્રીને કહ્યું કે, આ એક દુખદ સમાચાર છે કે એક ડોક્ટર, તેમની પત્ની અને દીકરી કોરોના પોઝિટીવ બન્યા છે. પરંતુ તેમણે એ સ્પષ્ટ કર્યું કે, મોહલ્લા ક્લિનિક બંધ નહિ થાય. કેજરીવાલે કહ્યું કે, અમે ડોક્ટરોની પૂરતી સુરક્ષા નક્કી કરીશઉં, તેમના ટેસ્ટ પણ નિયમિત સમયે કરાવતા રહીશું.

(4:53 pm IST)