સુર્ય મેષ રાશિમાં જશે એટલે કોરોના ખતમ!
વર્ષના મધ્યભાગ પછી જ કોરોના સમાપ્ત થવાના યોગ-શકયતા છેઃ મિશ્રા
ભદોહી તા. ર૬: દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે કટોકટી જાહેર થઇ છે. આ મહામારી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ ઘરની બહાર ન નીકળવું તે છે. જાત જાતના ટુચકાઓ પણ અપનાવાઇ રહ્યા છે. પણ જયોતિષશાસ્ત્ર અનુસાર સુર્ય જેમ જેમ મેષ રાશિ તરફ જશે તેમ તેનો પ્રભાવ પોતાની મેળે જ ઘટતો જશે.
પ્રસિધ્ધ જયોતિષશાસ્ત્રી ડો. બાલકૃષ્ણ મિશ્ર અનુસાર, ભારતીય જયોતિષ શાસ્ત્રમાં વાયરસનો કારક શનિ અને રાહુને માનવામાં આવે છે. હાલમાં શનિ અને રાહુનો ષડાષ્ટક યોગ બની રહ્યો છે. તેના પ્રકોપના કારણે કોરોના મહામારી ફેલાયેલી છે. શનિના પોતાની સ્વરાશિ મકરમાં હોવાના કારણે આ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. જયારે સુર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કોરોના વાયરસ ખતમ થઇ જશે.
મંગળ પણ રર માર્ચથી ઉચ્ચ રાશિ મકરમાં ગોચર કરશે મકર પૃથ્વી તત્વની રાશિ છે જેનો સ્વામી શનિ છે. મંગળ સાથે શત્રુવત વહેવાર હોવાના કારણે તે પૃથ્વી પર પણ અસર કરે છે. જયોતિષી ગણત્રી અનુસાર કોરોના વાયરસનો દુષ્પ્રભાવ ઓછો થવાનું શરૂ થઇ જશે અને વર્ષના મધ્ય પછી જ તેના સમાપ્ત થવાની શકયતા છે.