ગુજરાતમાં કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ : મૃતાંક ત્રણ થયો
ગુજરાતમાં વધતો કોરોનાનો કહેર : કુલ ૪૪ કેસો સામે આવ્યા : અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાયા : રાજકોટમાં ૧૩માંથી ૧૨ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા
અમદાવાદ, તા.૨૬ : કોરોના વાયરસનો આતંક ગુજરાતની સાથે સાથે દેશમાં પણ અકબંધ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યા અને મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવા છતાં નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. નવા વિસ્તારો પણ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. આના ભાગરુપે આજે ભાવનગર પણ કોરોનાના સકંજામાં આવતા એક કેસ નોંધાયો હતો અને એકનું મોત પણ થયું હતું. ગુજરાતમાં કોરોના વાયરસનાંે કહેર હવે ગંભીર હદે વધતો જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા પાંચ કેસો સામે આવ્યા છે, જેમાં અમદાવાદ, વડોદરા રાજકોટ અને ભાવનગરમાં વધુ એક-એક કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે.
આ સાથે રાજયમાં કોરોના પોઝિટિવના કુલ કેસો ૪૪ થયા છે. બીજીબાજુ, સુરત બાદ હવે અમદાવાદ અને ભાવનગરમાં કોરોના વાયરસના કારણે એક-એક વ્યકિતના મોત નોંધાતાં સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણના મોત નોંધાયા છે. કોરાનાના કારણે એક પછી એક પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં અને હવે મૃત્યુઆંક પણ વધવાની શરૂઆત થતાં સરકાર અને તંત્ર દોડતુ થઇ ગયુ છે. રાજકોટમાં ૧૩ જણાંના કોરોના શંકાસ્પદ કેસ જણાંતા તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા, જેમાંથી ૧૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જયારે એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજકોટમાં કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ થયા હતા.
રાજયમાં કુલ નોંધાયેલા કોરાના પોઝિટિવના ૪૪ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૫ કેસ નોંધાયા છે. ભાવનગરના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના ૭૦ વર્ષીય વૃધ્ધનું મોત નોંધાતા કોરોનાના કહેરને લઇ રાજયભરમાં હવે જાણે કે, સન્નાટો છવાઇ ગયો છે. આ દર્દી છેલ્લા ૧૪ દિવસથી સર ટી હોસ્પિટલમાં કવોરન્ટાઇન હેઠળ સારવારમાં હતા અને તેઓ દિલ્હીથી પ્રવાસ કરી ભાવનગર આવ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ ખાતે જે ૮૫ વર્ષીય વૃધ્ધાનું જે મૃત્યુ નોંધાયુ તે સાઉદી એરેબિયાની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે. તેમને માનસિક બિમારીના લક્ષણો પણ જણાયા હતા. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કેસો અને તેને સંબંધિત માહિતી માટે વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવી રહી છે. તેના અપડેટની વિગતો ગુજકોવીડ૧૯.ગુજરાત.ગવ.ઇન ડેશબોર્ડ કાર્યરત કરી મૂકવામાં આવી રહી છે,
જેની પર દિવસમાં બે વખત કોરોના અંગેની માહિતી અપડેટ કરી મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨૧૧ કવોરન્ટાઇનની ફેસીલિટી ઉભી કરાઇ છે, જેમાં કુલ ૧૨૦૫૯ બેડની વ્યવસ્થા છે. હાલ ૨૧ હજારથી વધુ લોકોને હોમ કવોરન્ટાઇન અને ૧૫૦ જેટલા લોકોને પ્રાઇવેટ ફેસીલિટીમાં કવોરન્ટાઇન ઓર્બ્ઝર્વેશન હેઠળ રાખવામાં આળ્યા છે. તો રાજયભરમાં કવોરન્ટાઇન ભંગની અત્યારસુધીમાં ૨૫૦થી વધુ ફરિયાદ નોંધાઇ છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં જોઈએ અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮ અને ગાંધીનગરમાં ૭ તથા કચ્છ અને ભાવનગરમાં ૧-૧ કેસ સામે આવ્યો છે. આમ કુલ મળી ગુજરાતમાં ૪૩ કેસ નોંધાયા છે. આમ, અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં એક-એક નવા કોરોના પોઝિટિવના કેસો ઉમેરાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થવાને લઇને તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે સાવચેતીના તમામ પગલા પણ યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોના કેસો
અમદાવાદ, તા. ૨૬ : દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ ઝડપથી કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.
શહેર |
કેસ |
અમદાવાદ |
૧૫ |
વડોદરા |
૦૮ |
સુરત |
૦૭ |
રાજકોટ |
૦૫ |
ગાંધીનગર |
૦૭ |
કચ્છ |
૦૧ |
ભાવનગર |
૦૧ |
ગુજરાતમાં કુલ કેસ |
૪૪ |