લોન રિપેમેન્ટમાં મળશે થોડા મહિનાથી છૂટ
નાણા મંત્રાલયે રિઝર્વ બેંકને પત્ર લખીને કર્યું સૂચન
નવી દિલ્હી તા. ૨૬ : નાણા મંત્રાલયે રિઝર્વ બેંકને એક પત્ર મોકલ્યો છે. જેમાં સૂચન કરાયું છે કે ઇકવેરેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટસ (ઇએમઆઇ), વ્યાજની ચુકવણી અને લોન રિપેમેન્ટમાં થોડાક મહિનાની છૂટ આપવામાં આવે. મંત્રાલયે નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ના કલાસિફીકેશનમાં ઢીલ આપવાનું પણ સૂચન કર્યું છે.
આ બાબત અંગે માહિતી ધરાવનાર એક વ્યકિતએ જણાવ્યું કે ફાઇનાન્સીયલ સર્વિસીઝ ડીપાર્ટમેન્ટના સચિવ દેબાશિષ પંડાએ મંગળવારે આરબીઆઇને આ બાબતે એક પત્ર લખ્યો હતો. પંડાએ સિસ્ટમમાં લીકવીડીટી બનાવી રાખવા પર પણ ભાર મુકયો છે. આ પત્રમાં આ રાહત ઉપાયોની જરૂરીયાત પર ભાર મુકયો છે. કેમકે સામાન્ય માણસો અને કંપનીઓને કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલ લોકડાઉનથી આવકમાં નુકસાન થઇ રહ્યું છે. ઘણી કંપનીઓ અને લોકો લોકડાઉનના કારણે લોનના હપ્તા ન ચૂકવી શકે તેવું બની શકે છે. આવું થવાથી બેંક તેની સામે પગલા લઇ શકે છે. આનાથી તેના ક્રેડીટ પ્રોફાઇલને પણ આંચ આવી શકે છે.