મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોનાની દવા,કોઈ વેક્સીન આખી દુનિયામાં બની નથી : સમર્થ લોકો 21 દિવસ સુધી 9 ગરીબ પરિવારની મદદ કરવાનું વચન લે : પીએમ મોદીનો સીધો સંવાદ

સરકારે વોટ્સએપ સાથે મળીને એક હેલ્પડેસ્ક બનાવી : 9013151515 પર વોટ્સએપ કરીને આ સેવા સાથે જોડાઈ શકો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સથી વારાણસીના લોકો સાથે કોરોના વાયરસના મુદ્દા પર સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે લોકોને વાતચીતમાં સામેલ થવાની અપીલ કરી હતી.

 આ દરમિયાન કોરોનાની દવાઓને લઈને ફેલાયેલી અફવા પર પીએમ મોદીએ કહ્યું હતું કે કોરાના સંક્રમણની સારવાર પોતાના સ્તરે ના કરો. ધ્યાન રાખો કે હજુ સુધી કોરોનાની સામે કોઈ દવા, કોઈ વેક્સીન આખી દુનિયામાં બની નથી. આપણા અને બીજા દેશોમાં વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે પણ હું તમને કહીશ કે તમને કોઈપણ દવા વિશે કહે તો પણ ડોક્ટર સાથે વાત કરીને જ દવા લો.
દેશમાં મજૂરો ઘણા સ્થાને ફસાયા હોવાની અને ગરીબોને રોજી-રોટીને લઈને કરેલા એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાનો જવાબ કરુણાથી આપવો જોઈએ. આપણે જરુરિયાતમંદ લોકો પ્રત્યે કરુણા બતાવવાનું એક પગલું ભરી શકો છો. તેમણે આ સમયમાં ડોક્ટરો અને નર્સોને ઇશ્વરના રુપ બતાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજથી નવરાત્રી શરુ થઈ રહી છે. દેશમાં જેની પાસે શક્તિ છે, આગામી 21 દિવસ સુધી 9 ગરીબ પરિવારોની મદદ કરવાનું વચન લે. જો આપણે આટલું કરી લઈએ તો તેના કરતા મોટી મા ની સેવા શું હોઈ શકે છે. તેમણે પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવા પણ કહ્યું હતું.
ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે થનાર દુર્વ્યવહારને લઈને કરેલા સવાલના જવાબ પર પીએમ મોદીએ કહ્યું હતું કે મારી બધા નાગરિકોને અપીલ છે કે જો મેડિકલ કર્મીઓ સાથે ખરાબ વ્યવહારની જાણકારી મળી તો તમે આવું કરનારને ચેતાવણી આપો અને સમજાવો કે આવું ના થવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યું હતું રે સરકારે વોટ્સએપ સાથે મળીને એક હેલ્પડેસ્ક બનાવી છે. તમે 9013151515 પર વોટ્સએપ કરીને આ સેવા સાથે જોડાઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો.પીએમે કહ્યું હતું કે વારાણસીનો સાંસદ હોવાના કારણે મારે વારાણસીના લોકો વચ્ચે હોવું જોઈએ પણ તે દિલ્હીમાં રહીને આને રોકવા માટે જરુરી પ્રબંધ કરવામાં લાગેલા છે.

(12:00 am IST)