પારસધામ -ઘાટકોપરના આંગણે
મુમુક્ષુ હેતાલીબેન દોશીની દીક્ષા આજ્ઞા અર્પણ વીધી યોજાઇ
મમતા જેની છૂટે તે જ મુમુક્ષુતાને સર્જી શકે : રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.
રાજકોટ,તા.૨૬:અનેક-અનેક આત્માઓને સંસારસાગરથી ઉગારીને તિન્નાણં તારયાણં બની રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે, અધ્યાત્મયોગિની બાપજી પૂજય શ્રી લલીતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ડો. પૂજય શ્રી તરુલતાજી મહાસતીજી, ડો. પૂજય શ્રી જસુમતીજી મહાસતીજી આદિ સાધ્વીવૃંદની નિશ્રામાં કોલકાતાના મુમુક્ષુ હેતાલીબેન હિમાંશુભાઈ દોશીની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો અવસર ગુરુ પુષ્યનક્ષત્રના યોગમાં ગુરુવારે આયોજિત કરવામાં આવ્યો હતો.
મુમુક્ષુ હેતાલીબેનનું ભાવભીનું સ્વાગત બાદ ત્યાગી આત્માની પ્રશસ્તિ કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જનમ જનમની અધુરી રહી ગયેલી સાધનાને પૂર્ણ કરવાનાં ભાવ જાગૃત થાય એવા આત્માઓ જ આ પાંચમા આરાના સમયમાં સંયમ પંથે પ્રયાણ કરતાં હોય છે. એવા આત્માઓ સંયમ પંથે પ્રયાણ કરીને બીજા અનેક અનેક આત્માઓ માટે કલ્યાણની કેડી કંડારી લેતાં હોય છે. સંયમ તે અંતરના ઉલ્લાસ, સ્વયંમના આત્માને પામવાની ઉત્કંઠાનો માર્ગ હોય છે. એવા સંયમના માર્ગ પર વીરતાપૂર્વક જે પ્રયાણ કરે છે તે જ વાસ્તવિકતામાં વીરના વારસદાર હોય છે. પરિવારની લાગણી છોડી શકે તેવા આત્માઓ જ પરમાત્માના પંથના પ્રતિક બની શકતા હોય છે. જેને પરિવારની મમતા સ્પર્શે તે કદી મુમુક્ષુતાનું સર્જન ન કરી શકે. પરિવારની મમતા છોડી જે પ્રભુના પંથે પ્રયાણ કરે છે તેવા આત્માઓ ધન્ય છે, પરંતુ ધન્યાતિધન્ય હોય છે તે માતા-પિતા જેઓ પોતાના રાગનો, વહાલનો, મોહનો ત્યાગ કરીને સંતાનને શાસનના શરણમાં સમર્પિત કરતાં હોય છે.
આ અવસરે પૂજય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી, ડો. પૂજય શ્રી તરુલતાજી મહાસતીજી, ડો. પૂજય શ્રી જસુમતીજી મહાસતીજી, પૂજય શ્રી ઊર્મિલાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી સુતીર્થિકાજી મહાસતીજીએ સંયમલક્ષી ભાવોની અભિવ્યકિત કરીને હેતાલીબેનની ત્યાગભાવના અને નાનપણથી તેમનામાં રહેલા સંયમના સંસરોની પ્રશસ્તિ કરી હતી.
શ્રી પારસધામ સંદ્યનાં ભાવિકો દ્વારા અત્યંત ઉત્સાહભાવ સાથે આજ્ઞા પત્રિકાની પધરામણી કરાવવા સાથે જ પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રોચ્ચાર પૂર્વક મુમુક્ષુ હેતાલીબેનની દીક્ષા આજ્ઞા પત્રિકા પર એમના માતા-પિતાએ કેસર છાંટણે વધામણા કરીને સહર્ષ મંજૂરીના હસ્તાક્ષર કરતાં સર્વત્ર જય - જયકાર વર્તાયો હતો. આંખમાં હર્ષણ સાથે અહોભાવપૂર્વક મુમુક્ષુ આત્માના માતા પિતાએ ડો. પૂજય શ્રી જસુમતીજી મહાસતીજીના કરકમલમાં દીક્ષા આજ્ઞા પત્ર અર્પણ કરીને સ્વયંના પુત્રીરત્નને સોંપતા ધન્યતા અનુભવી.
એ સાથે જ, મુમુક્ષુ હેતાલીબેને અંતરની ખુમારી સાથે સંયમભાવોની અભિવ્યકિત કરીને સ્વયંના વૈરાગ્યના દર્શન કરાવ્યા હતા.
મુમુક્ષુના પાવન કરકમલમાં રજત શ્રીફળ અર્પણ કરવાનો લાભ સોનલબેન જિજ્ઞેશભાઈ કામદારે લીધો હતો. બંસીબેન ચિંતનભાઈ બરવાળિયાને ધર્મમાતા પિતાના સ્વરૂપે દ્યોષિત કરવામાં આવ્યા હતા. બીપીનભાઈ સંદ્યવીએ દીક્ષા મહોત્સવનો લાભ શ્રી હિંગવાલા સંદ્યને આપવાની વિનંતી કરી હતી.દ્યાટકોપરના ૮૧ વર્ષીય ધર્મવત્સલા માતુશ્રી રસીલાબેન ગોડાની અંતર ભાવનાનો સ્વીકાર કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી આજીવન અનશન વ્રતનાં પ્રત્યાખ્યાન કરાવવામાં આવ્યાં હતાં.