મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

PM મોદી પર બનાવવામાં આવેલી બીબીસી ડોક્‍યુમેન્‍ટ્રીનું JNUમાં સ્‍ક્રીનિંગઃ કેમ્‍પસમાં પથ્‍થરમારાનો આરોપ

દિલ્‍હીમાં સ્‍થિત પ્રતિષ્‍ઠિત અને જાણીતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNU ફરી એકવાર વિવાદમાં

નવી દિલ્‍હી,તા. ૨૫: રાજધાની દિલ્‍હીમાં સ્‍થિત પ્રતિષ્ઠિત અને પ્રખ્‍યાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNU ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. જોકે, આ વખતે વિવાદ વિદ્યાર્થીઓના ઘર્ષણ સાથે નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર બનેલી વિવાદાસ્‍પદ ડોક્‍યુમેન્‍ટરીના સ્‍ક્રીનિંગ સાથે જોડાયેલો છે. પીએમ મોદી પરની વિવાદાસ્‍પદ BCC Documentryના સ્‍ક્રીનિંગ પર JNU  કેમ્‍પસમાં બબાલ અને હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન, વિદ્યાર્થીઓના જૂથો દ્વારા પથ્‍થરમારાના આક્ષેપો પણ કરવામાં આવ્‍યા હતા. જોકે, પોલીસ દ્વારા પથ્‍થરમારાની ઘટનાને સમર્થન મળ્‍યું નથી.

આ પહેલા પ્રશાસન દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથે મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર બીબીસીની વિવાદાસ્‍પદ ડોક્‍યુમેન્‍ટરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, જેએનયુ સ્‍ટુડન્‍ટ્‍સ યુનિયન દ્વારા ડોક્‍યુમેન્‍ટ્રીનું સ્‍ક્રીનિંગ યોજવામાં આવ્‍યું હતું. જયારે પ્રશાસને મંજૂરી આપી ન હતી. પરવાનગી વગર ડોક્‍યુમેન્‍ટ્રી બતાવવાનો મામલો સામે આવતાં જ વહીવટીતંત્રે વિદ્યાર્થી સંઘની ઓફિસની વીજળી અને ઇન્‍ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. તેમ છતાં વિદ્યાર્થીઓ દ્વારા ડોક્‍યુમેન્‍ટરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.

આ ડોક્‍યુમેન્‍ટરી બીબીસી દ્વારા બનાવવામાં આવી છે. આ અંગે ભારત સરકારે નારાજગી વ્‍યક્‍ત કરી હતી. તે જ સમયે, સરકારે તેને વિવાદાસ્‍પદ ગણાવીને બીબીસીના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. આરોપ છે કે, પીએમ મોદીની છબીને ખોટી રીતે રજૂ કરવાના હેતુથી તેને બનાવવામાં આવ્‍યું છે. ડોક્‍યુમેન્‍ટ્રીમાં નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે થયેલા કોમી રમખાણો માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. જયારે સુપ્રીમ કોર્ટે તેમને આ મામલે ક્‍લીનચીટ આપી હતી. વિદેશ મંત્રાલયે આ અંગે બ્રિટિશ બ્રોડકાસ્‍ટર સામે વાંધો ઉઠાવ્‍યો હતો.

૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં નરેન્‍દ્રભાઇ મોદીની ભૂમિકા પર બીબીસીની આ ડોક્‍યુમેન્‍ટરી પણ શનિવારે, ૨૧ જાન્‍યુઆરીએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ઈન્‍ડિયાઃ ધ મોદી ક્‍વેヘન નામની ડોક્‍યુમેન્‍ટરીના સ્‍ક્રીનિંગ અંગે યુનિવર્સિટી વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. જે બાદ અધિકારીઓએ રિપોર્ટ મંગાવ્‍યો હતો. દરમિયાન, વિવાદ વચ્‍ચે, કેરળના ત્રણ રાજકીય જૂથોએ પણ જાહેરાત કરી કે તેઓ રાજયમાં ડોક્‍યુમેન્‍ટ્રીનું સ્‍ક્રીનીંગ કરશે.

(10:54 am IST)