મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

લાલુ પ્રસાદ પ્રસાદની મુક્તિ માટે પુત્રીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

બિમાર પિતાની મુક્તિ માટે લાલુ પ્રસાદની પુત્રીનો મોરચો : પિતા લાલૂની મુક્તિ માટે પુત્રી રોહિણી આચાર્યએ એક આંદોલન ઉભું કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે

નવી દિલ્હી, તા. ૨૫ :  આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની દીકરીએ પિતાની મુક્તિ માટે મોરચો ખોલી દીધો છે. તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખીને પિતાની મુક્તિની માગ કરી છે. એટલું જ નહીં પિતાની મુક્તિ માટે તેઓએ એક આંદોલન ઉભું કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેજ પ્રતાપ યાદવે પણ આ મામલે એક પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો.

લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ચએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે લાલુ યાદવની મુક્તિની માગ કરી છે. આ માટે રોહિણીએ એક પત્ર પણ લખ્યો છે. જેને તેઓએ ટ્વીટર પર શેર કર્યો હતો. પત્રમાં લખ્યું છે કે, દેશના મહામહિમ રાષ્ટ્રપતિને એક પત્ર આઝાદી પત્ર ગરીબોના ભગવાન આદરણીય શ્રી લાલુ પ્રસાદ યાદવ માટે. આ મુહિમ સાથે જોડાઓ અને પોતાના નેતાની આઝાદી માટે અપીલ કરો. જેમણે આપણને તાકાત આપી, આજે સમય તેમની તાકાત બનવાનો. અમે અને તમે મોટા સાહેબની તાકાત છે.

રોહિણીએ આ ટ્વીટમાં અપીલ કરી છે કે લાલુને ચાહનાર પટના આરજેડી ઓફિસમાં ૩ વાગ્યે પહોંચો અને લાલુ યાદવની મુક્તિ માટે અપીલ કરે. રોહિણીના આ ટ્વીટને લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પણ રિટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે ગરીબોના મસીહા આદરણીય શ્રી લાલુ પ્રસાદ યાદવ માટે આઝાદી પત્રને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો.

લાલુ યાદવની તબિયત બગડ્યા બાદ તેમની મુક્તિ માટેની રાજનૈતિક માગ ઉઠવા લાગી છે. જેમાં પટનામાં બિહાર કોંગ્રેસના અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે તમામ નેતા લાલુના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. ઉપરથી લાલુ પર જેલમાં રહેવાનું દબાણ છે અને આ માટે તેમની તબિયત બગડતી જઈ રહી છે. ઝાએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો કે એવો કોઈ નિયમ હોય તો લાલુને જેલમાંથી મુક્ત કરી દેવા જોઈએ જેથી તેઓનું જીવન બચી શકે.

દિલ્હી એઈમ્સમાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. જાણકારી મુજબ તેઓના સ્વાસ્થ્ય પહેલા કરતાં થોડું સારું છે. જો કે હજુ પણ હાલત ગંભીર બનેલી છે. તેઓનો ઈકો પણ કરાવવામાં આવ્યો હતો. અને એક્સપર્ટ તેઓની સારવાર કરી રહ્યા છે. એઈમ્સના નિર્દેશકે પણ તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.

(12:00 am IST)