જેલમાં બંધ ૨૬ કેદીઓ એચઆઈવી પોઝિટીવ
જેલમાં કેમ્પ લગાવીને કરાયેલી તપાસ બાદ ખુલાસો : જેલ પ્રશાસને સેક્ટર-૩૦ સ્થિત જિલ્લા હોસ્પિટલના એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી સેન્ટરમાં કેદીઓની સારવાર શરૃ કરી
નોઈડા, તા.૨૪ : ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની જિલ્લા જેલમાં બંધ ૨૬ કેદીઓનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, જેલમાં કેમ્પ લગાવીને કરવામાં આવેલી તપાસ બાદ આ વાત સામે આવી છે. જેલ પ્રશાસને સેક્ટર-૩૦ સ્થિત જિલ્લા હોસ્પિટલના એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાં કેદીઓની સારવાર શરૃ કરી છે.તમને જણાવી દઈએ કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે રાજ્યમાં કેદીઓમાં એચઆઈવી પોઝીટીવનો કેસ સામે આવ્યો હોય. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી ડિસ્ટ્રિક્ટ જેલમાં ૨૨ કેદીઓ એચઆઈવી પોઝીટીવ બન્યા હતા. બીજી તરફ બિજનૌર જેલમાં ૫ કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અસાધ્ય રોગ એચઆઈવી મોટાભાગે શારીરિક સંબંધોને કારણે એક શરીરમાંથી બીજા શરીરમાં ફેલાય છે. ઉપરાંત, તે એચઆઈવી દર્દી પર ઉપયોગમાં લેવાતી સોઈ, સિરીંજ અથવા અન્ય દવાના ઈન્જેક્શન સાધનો દ્વારા તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.