અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યકત કર્યું દુઃખઃ દીકરા ફૈસલ સાથે કરી ફોન પર વાત
નવી દિલ્હી,તા. ૨૫: પીએમ મોદીએ અહેમદ પટેલના નિધનને લઈને દુઃખ વ્યકત કર્યું છે. તેઓએ આ સમયે તેમના દીકરા ફૈસલ પટેલ સાથે પણ વાત કરીને સંવેદના પ્રકટ કરી છે. તેઓએ કહ્યું કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ મળે.
પીએમ મોદીએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અહેમદ પટેલના નિધનથી તેઓ દુઃખી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓએ સમાજની સેવા કરવામાં અનેક વર્ષો પસાર કર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે શાર્પ મગજ વાળા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે યાદ રખાશે. મેં તેમના દીકરા ફૈસલ સાથે વાત કરી છે અને સંવેદના પ્રગટ કરી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદભાઈની આત્માને શાંતિ મળે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની ઉંમરે આજે વહેલી સવારે ૩.૩૦ વાગે નિધન થયું છે. આ જાણકારી તેમના દીકરા ફૈસલ પટેલે આપી છે. અહેમદ પટેલની તબિયત બગડતાં તેમને થોડા દિવસ અગાઉ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ઓકટોબરના પહેલાં અઠવાડિયામાં કોરોના સંક્રમિત પણ થયા હતા.