કારોબારી વખતે બહાર મુકાવાયા હતા નેતાઓના ફોન છતાં ચાલુ મીટીંગે વાતો લીક થતા કોંગ્રેસ પરેશાન
નવી દિલ્હી, તા.૨૫: કોંગ્રેસ વકીંગ કમીટીની મીટીંગની વાતો બહાર આવતી રોકવામાં આ વખતે પણ કોંગ્રેસ નિષ્ફળ રહી હતી. ૧૬ ઓકટોબરે થયેલ આ બેઠક પહેલા જ કોંગ્રેસ હાઇકમાન્ડે નક્કી કર્યુ હતું કે કોઇપણ સભ્ય ફોન લઇને અંદર નહીં જાય જેથી મીટીંગની વાતો બહાર ના આવી શકે.
જો કે કોંગ્રેસની આ કોશિષ ફરી એક વાર નિષ્ફળ થઇ ગઇ. ફોન અંદર ના લઇ જવાયા છતાં મીટીંગની વાતો આ વખતે પણ તરત જ બહાર આવી ગઇ હતી. કોંગ્રેસ આ બાબતે પરેશાન છે કે આ વાતો લીક કેવી રીતે થઇ. કોંગ્રેસ નેતાઓ એ વાતે પરેશાન છે કે આ વાતો લીક કોણે કરી! કોઇ પણ સભ્ય પાસે પોતાનો ફોન નહોતો. મીટીંગની વાતો લીક થવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ ફરી એકવાર મશ્કરીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે આ મીટીંગમાં પણ સોનિયા ગાંધીએ ચોખ્ખું કહ્યું હતું કે અહીંથી ફકત એ વાતો બહાર જશે જે આપણે નક્કી કરીશું. જી-૨૩ના નેતાઓ અંગે પણ સોનિયાએ કડક વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું કે મેં કાયમ સ્પષ્ટવાદિતાની સરાહના કરી છે એટલે મીડીયા મારફત મારી સાથે વાત કરવાની જરૂર નથી. સોનિયાએ મીટીંગમાં કહ્યું હતું કે આપણે આ મીટીંગમાં ખુલ્લા મને ઇમાનદાર ચર્ચા કરીએ છીએ પણ આ ચાર દિવાલની બહાર કેટલી વાત જશે તે નિર્ણય કોંગ્રેસ વર્કીગ કમીટી કરશે.