રોના વડા સાથેની મુલાકાત બાદ નેપાળ ના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જૂના નક્શા ટ્વિટ કર્યા
ચીનના ઈશારે અવરચંડાઈ પર ચઢેલું નેપાળ સીધું દોર : સામંત કુમાર સાથે મુલાકાત બાદ નેપાળના વડાપ્રધાનના વલણમાં ફેરફાર :ભારતને વિજ્યાદશમીની શુભેચ્છા આપી
કાઠમંડુ, તા. ૨૪ : ચીનના ઈશારે અત્યાર સુધી નાચી રહેલા નેપાળ ના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારતીય ગુપ્તચર એજન્સી રોના ચીફ સાથે મુલાકાત કર્યા બાદ પોતાના સૂર બદલ્યા છે. નેપાળના વડાપ્રધાને વિજયાદશમીએ શુભેચ્છા પાઠવતુ ટ્વિટ કર્યું હતું અને તેમાં ફરી એકવાર નેપાળના નકશા જ દેખાડવામાં આવ્યા છે.
નેપાળ અને ભારત વચ્ચે વિવાદનું મૂળ જ નેપાળનો નવો નકશો છે. જેમાં કાઠમંડુએ ભારતીય વિસ્તારોને પોતાના હોવાનો દાવો કર્યો હતો.
માનવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં ભારત-નેપાળ સરહદ વિવાદ પર આકરૂ વલણ અપનાવનારા વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વલણમાં પરિવર્તન રોના ચીફ સામંત કુમાર ગોયલ સાથે મુલાકાત કર્યા બાદ આવ્યું છે. આ અગાઉ ગોયલે બુધવારે રાત્રે ઓલી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એકલા જ બેઠક કરી હતી. હવે ભારતીય સેનાના પ્રમુખ જનરલ નરવણે પણ આવતા મહિને નેપાળની મુલાકાતે જઈ રહ્યાં છે.
રોના ચીફને મળ્યા બાદ કેપી શર્મા ઓલી પોતાના જ દેશમાં બરાબરના ઘેરાયા હતાં. આ મુલાકાતને લઈને તેમની પોતાની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સત્તારૂઢ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ પીએમ ઓલી પર કુટનૈતિક નિયમોને તોડવાનો આરોપ લગાવ્યો હતો.
હવે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વલણમાં પણ જબ્બર ફેરફાર થયો છે. ઓલીએ વિજયાદશમીને લઈને ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે એક નકશો પણ ટ્વિટ કર્યો હતો. આ નકશો જુનો હતો જેમાં વિવાદાસ્પદ એવા લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને ભારતના જ વિસ્તારો તરીકે દર્શાવવામાં આવ્યા છે. અગાઉ થોડા સમય પહેલા જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આ તમામ સ્થળોને પોતાના ગણાવ્યા હતાં. એટ્લુ જ નહીં નેપાળે ભારત વિરૂદ્ધ સરકાર ઉથલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. પરંતુ ઇછઉ ચીફ સાથેની મુલાકાત બાદ કેપી શર્મા ઓલીની શાન ફરી ઠેકાણે આવી છે.