ઉત્તર ભારતમાં ભારે વરસાદ :પૂરની સ્થિતિ :11 લોકોના મોત :પંજાબમાં રેડ એલર્ટ
પંજાબ,હિમાચલ પ્રદેશ અનેજમ્મુ કાશ્મીરની શાળાઓમાં રજા જાહેર : તમામ જિલ્લા તંત્ર અધિકારીઓને એલર્ટ રહેવા માટે સુચના
ચંડીગઢ : ઉત્તરભારતના મોટા ભાગના હિસ્સાઓમાં ભારે વરસાદના કારણે પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં પુરની સ્થિતી બનેલી છે. મોટા ભાગના હિસ્સામાં વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે અત્યાર સુધી 11 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
પંજાબમાં ભારે વરસાદને ધ્યાને રાખી રાજ્ય સરકારે સોમવારે રેડ એલર્ટ ઇશ્યું કર્યું અને તંત્રને સતર્કતા જાળવવા માટેના નિર્દેશ આપ્યા. પંજાબની સાથે જ હિમાચલ અને જમ્મુ કાશ્મીરની શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરી દેવાઇ છે.
પંજાબ મુખ્યમંત્રી કાર્યાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં સંભવીત પુર સામે લડવા માટે સોમવારે બેઠક બોલાવી. સરકારે રાજ્યમાં મુશળધાર વરસાદને ધ્યાને રાખી રેડ એલર્ટ ઇશ્યું કર્યું છે.
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા તંત્ર અધિકારીઓને એલર્ટ રહેવા માટે સુચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં છેલ્લા બે દિવસોથી વરસાદ થઇ રહ્યો છે અને રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સોમવારે પણ મુશળધાર વરસાદ થયો.