લ્યો હવે સરકારનું નવું ગતકડું RTIને પવિત્ર કાયદો માન્યો અને તેથી જ તેને લગતી કોઇ પ્રશ્ન નહિ પુછી શકાય : તેવું જાહેર થયું
દરેક સરકારો ભ્રષ્ટાચાર દૂર કરવાના વચનો આપે છે. જો ભ્રષ્ટાચારને નાથવો હોય તો સરકારના કામોમાં પારદર્શક્તા હોવી જરૂરી છે. સરકાર જે નિર્ણય લે, કેવી રીતે લે? કોને પૂછે છે ? કેટલા પૈસા ક્યાં ખર્ચે છે આ તમામ માહિતી જો લોકોને મળે તો ગેરરીતિ રોકવામાં સમાજ અને સરકાર બંને કામ કરી શકે.
માહિતી અધિકાર કાયદા થકી દરેક સામાન્ય નાગરિકને સરકારની આ માહિતી સુધી પહોંચે તે ઉદ્દેશ્ય માટે માહિતી અધિકારનો કાયદો બન્યો હતો. દેશમાં વર્ષે 60 લાખ ઉપરાંત લોકો માહિતી મેળવે છે, અને તેનો ઉપયોગ પણ કરતાં હોય છે. પણ હવે સરકાર ક્યાંક પાછી પાની કરતી હોય તેમ લાગે છે.
જાહેર માહિતી અધિકારી અરજદારોને માહિતી આપવાને બદલે માહિતી નકારવાના નવા-નવા નુસખાઓ શોધતા હોય તેવું સામે આવી રહ્યું છે. તાજેતરમાં એક અરજદારને દિલ્હી દૂરદર્શન પાસે તેમણે પ્રોગ્રામ માટે જે વ્યક્તિઓ સાથે કરાર કરેલા હોય અને તેમણે જે ચૂકવણું કરેલું હોય તેની માહિતી માંગી હતી. આ અરજદારને જવાબમાં કહેવામા આવ્યું કે, “ માહિતી અધિકારનો કાયદો એક પવિત્ર કાયદો છે, અને તેનો ઉપયોગ સરકારને પ્રશ્નો પૂછવા માટે કરી શકાય નહીં,”
સરકારનું આ વલણ તદ્દન ગેરકાનૂની છે આવી રીતે માહિતી અધિકારમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપી શકાય નહીં. આનાથી સરકારનું અપારદર્શક્તાનું વલણ છ્તુ થાય છે.
2009 ના વર્ષમાં કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, કે જેમાં “કેમ કરવામાં આવ્યું” એવા સંભવિત પ્રશ્નના જવાબો માહિતી તરીકે નહીં પણ જ્યારે સ્પષ્ટીકરણ તરીકે માંગવામાં આવતા હોય ત્યારે “સ્પષ્ટીકરણ” માહિતીની વ્યાખ્યામાં નહીં આવે તેવું કહેલ હતું. આ પરિપત્ર ડો. સિલ્વા v/s ગોવા રાજ્ય માહિતી આયોગના એક કેસ સંદર્ભે મુંબઈ હાઇકોર્ટના એક ચુકાદાના આધારે કરવામાં આવ્યો હતો. આ પરિપત્રનો ઉદ્દેશ હતો, કે જાહેર માહિતી અધિકારીને તેમના ભૂમિકાની સમજ આવે કે તેઓએ રેકોર્ડની નકલ આપવાની છે, પણ કોઈ બાબતનું સ્પષ્ટીકરણ અલગથી લખીને જવાબ તૈયાર કરવાની જરૂર નથી.
પારદર્શિતા માટેના આ કાયદાને ધીરે ધીરે સરકારે “સિક્રેટ” રાખવાનો કાયદો બનાવી રહી છે. અને અને તે પવિત્ર કાયદો તરીકે ગણાવી નાગરિકોના હાથમાંથી છીનવી લેવાં માંગે છે.
ગુજરાતમાં પણ મોટા પાયે “પ્રશ્નાર્થ રૂપે માહિતી માંગી શકાય નહીં” તેવું ખોટું અર્થઘટન કરી માહિતી અધિકારીઓએ કેન્દ્ર સરકારના પરિપત્રનો દુરુપયોગ કરી માહિતી નકરતા હોવાનું જોવા મળ્યું છે.
જ્યાં “સવાલ કરવામાં માટે મનાઈ હોય, તો આ સવાલ પણ સરકારને ક્યાં, અને કેવી રીતે કરવો તેજ એક મોટો સવાલ બનીને ઊભો છે.
માહિતી અધિકાર સાથે નિસ્બત ધરાવતા નાગરિકો અને સંગઠનો આવનારા દિવસોમાં આ બાબતે સામાન્ય વહીવટ વિભાગમાં રજૂઆત કરી સરકારી પરિપત્રનો દુરઉપયોગ કરી નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા અંગે માંગણી કરાશે. ગુજરાત રાજ્ય માહિતી આયોગનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે.