પંજાબ બાદ હવે રાજસ્થાનનું કોકડું ઉકેલાશે : ગેહલોત અને પાયલોટ સમાધાનનો તખ્તો ગોઠવાશે : કાલે ધારાસભ્યદળની મહત્વપૂર્ણ બેઠક
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને સંગઠન મહાસચિવ અજય માકન જયપુર પહોંચ્યા
જયપુર :રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈને ખત્મ કરવા માટે કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, પંજાબમાં સ્થિતિમાં સુધારો કર્યા પછી હવે કોંગ્રેસ આલાકમાન રાજસ્થાનના વિવાદને ઉકેલવા માંગે છે. આ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ રવિવારે સવારે ધારાશબ્યોની અરજન્ટ બેઠક બોલાવી છે. સવારે 10:30 વાગે આ બેઠકમાં પીસીસના બધા પદાધિકારીઓ સામેલ થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને સંગઠન મહાસચિવ અજય માકન જયપુર પહોંચી રહ્યાં છે. તેઓ સીધા મુખ્યમંત્રી નિવાસ પહોંચશે, જ્યાં તેઓ મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે ડિનર કરશે. ડિનર પર વાતચીત પછી એક વખત ફરીથી સવારે નવ વાગે વાતચીત થશે. હાલમાં બંને રાજસ્થાનના રસ્તામાં છે અને થોડી જ વારમાં જયપુર પહોંચી શકે છે.
બંને નેતાઓનો 25 જૂલાઈએ પરત દિલ્હી ફરવાનો પણ કાર્યક્રમ છે. જોકે, કેસી વેણુગોપાલ અને અજય માકન સાથે સચિન પાયલટની મુલાકાત થશે નહીં. અત્યાર સુધીના કાર્યક્રમ અનુસાર, સચિન પાયલટ કાલે બપોરે પોતાના વિધાનસભા ક્ષેત્ર ટોંક માટે નિકળશે અને રાત્રિ વિશ્રામ ત્યારે જ કરશે. એવામાં કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરવાની યોજના નથી.
આનાથી પહેલા જાણકારી સામે આવી હતી કે, સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદને ઉકેલ કરવા માટે રાજસ્થાનમાં કેબિનેટમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, 27-28 જૂલાઈએ તારીખ નક્કી કરી લીધી છે. તે ઉપરાંત આ મહિને જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ પણ થઈ જશે. રાજસ્થાનમાં મંત્રિમંડળ વિસ્તાર માટે જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિને લઈને સહમતિ બની ગઈ છે. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી સહમત થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, આવનારા એક-બે દિવસોમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દિલ્હીનો પ્રવાસ કરી શકે છે.