મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી હવે રિલાયન્સ કેપિટલ આઉટ
કંપની પોતાનો હિસ્સો પોતાના ભાગીદાર નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સને વેચશે
નવી દિલ્હી, તા.૨પઃ અનિલ અંબાણી ગૃપની રિલાયન્સ કેપિટલે સ્વયંને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ પોતાની સંપૂર્ણ ભાગીદારી પોતાના ભાગીદાર નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સને વેચવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટ લિ.(આરનામ)માં અનિલ અંબાણીની રિલાયન્સ અને જાપાની કંપની નિપ્પોનની ૪૨.૮૮ ટકા જેટલી સરખી ભાગીદારી છે. બાકીમાં પ્રજાનો સ્ટેક છે.
રિલાયન્સનું કહેવું છે કે આ માટે જાપાનની નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સાથે એક સમજૂતી કરાઇ છે. રિલાયન્સ કેપિટલના જણાવ્યા પ્રમાણે નિપ્પોન ખરીદ્યા બાદ નિપ્પોન લાઇફ દ્વારા ઓપન ઓફર હેઠળ સામાન્ય રોકાણકારો પાસેથી આરનામના શેર સામાન્ય લોકો માટે પ્રતિશેર રૂ.૨૩૦ના ભાવે ખરીદવાની ઓફર કરશે. રિલાયન્સ કેપિટલે જણાવ્યું હતું કે આ ડીલ દ્વારા તેને રૂ.૬૦૦ કરોડ મળશે. આ રકમનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવામાં કરવામાં આવશે.