જમાઇએ દહેજ લેવાની ના પાડતાં કન્યાના પિતાએ ૧ લાખ રૂપિયાનાં ૧૦૦૦ પુસ્તક ગિફટ આપ્યા
કલકત્તા તા. રપઃ પહેલાં ખુલ્લેઆમ દહેજપ્રથા હતી, પણ હવે દહેજ છાનેછપને લેવાય છે. દહેજની પ્રથા હજી જડમૂળથી દૂર નથી થઇ અને એટલે જ ગરીબોને દીકરીનાં લગ્ન કરાવવામાં અડચણ આવે છે. જોકે પશ્ચિમ બંગાળના સોનારપુર ગામમાં દહેજને લગતો અનોખો બનાવ બન્યો હતો. વ્યવસાયે શિક્ષક એવા કલકત્તાના રહેવાસી સુર્યકાન્ત બરીકને લગ્ન પહેલાં જ તેના સાસરાપક્ષને કહી દીધું હતું કે હું કોઇપણ પ્રકારનું દહેજ સ્વીકારીશ નહીં. તેની મંગેતર પ્રિયંકાને પણ સુર્યકાન્તની આ વાત બહુ ગમી ગયેલી. સૂર્યકાન્તનું કહેવું છે કે મને અને પ્રિયંકાને વાંચવાનો બહુ શોખ છે અને એને કારણે અમે એકમેકની પસંદગી કરેલી. લગ્ન પહેલાં જ સૂર્યકાન્તે સ્પષ્ટતા કરી રાખેલી કે તેને કોઇપણ પ્રકારે દહેજ આપવું નહીં. જોકે જયારે તે પરણવા માટે માંડવે પહોંચ્યો ત્યારે કન્યાના પિતાએ તેને જબરી સરપ્રાઇઝ આપી હતી. સાસરિયાએ તેને એક લાખ રૂપિયાનાં ૧૦૦૦ પુસ્તકો ગિફટ આપ્યાં હતાં. કન્યાના પરિવારનું કહેવું હતું કે દુનિયાની કોઇ ગિફટ નોલેજની ભેટ કરતાં ચડિયાતી નથી.