મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સૌના મોઢે એક જ સવાલ

સરકાર કેવી રચાશે? કોનું પતું કપાશે? કોને લોટરી લાગશે?

નવી દિલ્હી, તા.૨પઃ બીજેપીને બીજી વખત વધુ જબરજસ્ત સફળતા મળ્યા પછી હવે સૌની નજરો કેન્દ્રમાં નવી સરકારની રચનાની દિશામાં મંડાઇ છે. સરકાર કેવી રચાશે? એમાં નવા ચહેરા હશે કે નહી? કોનું પતું કપાશે અને કોને લોટરી લાગશે? બીજેપીના પ્રમુખ અમિત શાહને પ્રધાનપદ મળશે કે નહીં? એવા સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. આર્શ્ચજનક રીતે કેટલાય નવા ચહેરાને સ્થાન આપવામાં આવનાર હોવાની અટકળો વહેતી થઇ છે.

નવી સરકાર રચવાનો માર્ગ મોકળો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રધાનમંડળના સભ્યોએ ગઇકાલે સુપરત કરેલા રાજીનામા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકાર્યા હતા. આજે એન.ડી.એના નવા ચૂંટાયેલા સંસદ સભ્યો ઔપચારિક રીતે નરેન્દ્રભાઇ મોદીને એમના નવા નેતા તરીકે ચૂંટીને નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન અને પ્રધાનમંડળના અન્ય સભ્યોની શપથવિધિ ૩૦ મેએ યોજાશે એવી સંભાવના છે અને આમાં જગતના કેટલાક મહત્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવે એવી વકી છે.

છેલ્લા ત્રણ દાયકામાં પહેલી વખત કોઇ એક પક્ષને સતત બીજી ટર્મ માટે બહુમતી પ્રાપ્ત થઇ છે. ૧૭મી લોકસભાની ચૂંટણીમાં ૫૪૨ બેઠકોમાંથી બીજેપીને ૩૦૩, શિવસેનાને ૧૮ અને કોંગ્રેસને બાવન બેઠકો મળી છે.

બીજેપીના અનેક નેતાઓ માને છે કે અમિત શાહને નવા પ્રધાનમંડળમાં ચાર મહત્વના મંત્રાલયો (ગૃહ, નાણાં, વિદેશ, સંરક્ષણ)માંથી એક સોંપવામાં આવે એવી શકયતા છે. અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજની આરોગ્યની સમસ્યાઓને કારણે એ બંને નવી સરકારમાં જોડાશે કે નહી એ નકકી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમૃતસરથી હારી ગયેલા અરૂણ જેટલીને નાણાં પ્રધાન બનાવીને રાજયસભાના સભ્યપદે ચૂંટવામાં આવ્યા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી જીતી ગયેલાં સુષ્મા સ્વરાજે બિમારીને કારણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જોકે અરૂણ જેટલી કે સુષ્મા સ્વરાજે આ વખતની સરકારમાં જોડાવા વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી.

સંરક્ષણ પ્રધાન અને વેપાર-ઉદ્યોગ જેવા મહત્વના મંત્રાલયોનો અખત્યાર સંભાળી ચૂકેલાં નિર્મલા સીતારમણને આ વખતે પણ કોઇ મહત્વનું મંત્રાલય સોંપવાની  શકયતા છે. એવી જ રીતે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને એમની પરંપરાગત સુરક્ષિત બેઠક પર ધૂળ ચટાડનારાં સ્મૃતિ ઇરાનીને બઢતી સાથે મસમોટા પોર્ટફોલિયોનું ઇનામ આપવાની શકયતા છે. તે ઉપરાંત આગલી સરકારના પ્રધાન મંડળના સભ્યોમાંથી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાર જાવડેકર જેવા ચહેરાને ફરી પ્રધાનમંડળમાં સ્થાન નિશ્ચિત મનાય છે. સ્વાભાવિક રીતે જ શિવસેના અને જનતા દળ(યુનાઇટેડ)ને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગણમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને ત્યાંના નવા ચહેરાને સ્થાન મળે એવી ભરપૂર શકયતા છે.(૨૩.૪)

મોદીના સામેના પ્રશ્નો?

૧.અમિત શાહને કઇ મિનિસ્ટ્રી આપવી?

ર. સ્મૃતિ ઇરાનીને પ્રમોશન આપવું કે નહીં?

૩.બંગાળ, ઓડિશા અને તેલંગણના કયા ચહેરાને સ્થાન આપવું?

૪.જૂના જોગીઓમાં કોના પત્તા કાપવાં?

(10:34 am IST)