મધ્યપ્રદેશના ૨૦૦ ખેડૂતોએ કોવિંદજી પાસે મરી જવાની મંજૂરી માંગી : ભારે રોષ
ભાજપની શીવરાજ સરકાર સામ - દામ - દંડથી ખેડૂતોને હેરાન કરે છે : વળતર દેતા નથી : ધમકીઓ આપે છે
ભોપાલ તા. ૨૫ : દેશભરમાં ખેડૂતોની અવદશા ચિંતાજનક છે. મધ્યપ્રદેશમાં ૨૦૦થી વધુ ખેડૂતોએ સરકાર દ્વારા વળતર ન મળતાં રાષ્ટ્રપતિ પાસે મરી જવાની મંજુરી માંગી છે.
મધ્યપ્રદેશનાં સાતના જિલ્લાનાં ૨૦૦ ખેડૂતોએ દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ર લખીને આ મંજુરી માંગી છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, સરકાર સામ-દામ-દંડની નિતી અપનાવે છે અને વળતર આપવામાં મોડુ કરે છે.
આ ખેડૂતો રાષ્ટ્રિય કિશાન મઝદુર મહાસંઘ સાથે જોડાયેલા છે અને સતના જિલ્લાનાં દર ગામડાઓમાં રહે છે. આ ગામડાઓ ભોપાલથી ૪૫૦ કિ.મી. દૂર આવેલા છે.
વિરોધ કરનાર ખેડૂતોમાંના એક ખેડૂત સુભાષ પાંડેએ કહ્યું કે, 'જબલપુર-વિદ્યાંચલ પાવર લાઇન માટે ખેડૂતોનાં ખેતરમાં કેબલ નાંખી રહ્યાં છે પણ ખેડૂતોને આ મામલે વળતર આપતા નથી. ખેડૂતોને જે નુકશાન થયું તેનું વળતર આપતા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કંપની કોઇ નિયમોનું પાલન કરતી નથી અને ખેડૂતોના નુકશાનનું વળતર પણ આપતી નથી.'
ખેડૂતોએ તેમણે લખેલા પત્રમાં આરોપ કર્યો કે, કંપનીએ વળતર આપવાને બદલે ખેડૂતોને ધમકીઓ આપે છે અને કહે છે કે, તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. ખેડૂતોએ આ પત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કર્યો હતો.
ખેડૂતોએ એમ કહ્યું કે, તેમના નેતા મોહન સ્વરૂપની પોલીસે ધરપકડ કરી હતી. કેમ કે, તેમણે ખેડૂતો માટે વળતરની માંગણી કરી હતી.
આ ઘટના બાદ ખેડૂત સંગઠનનાં રાષ્ટ્રિય પ્રમુખ શિવકુમાર શર્માએ એક રેલી કાઢી હતી અને ત્યારબાદ સ્થાનિક તંત્રએ વળતરની ખાતરી આપી હતી. જો કે, ખેડૂતો કહે છે કે, તેમને વળતર હજી સુંધી મળ્યું નથી. અમે ધક્કા ખાઇને થાકી ગ્યાં.