ઈવીએમને લઈને ૨૧ પક્ષો ફરી કોર્ટ પહોંચ્યા
૫૦ ટકા ઈવીએમની ચકાસણી વીવીપેટ મશીનોથી કરાવવાનો આદેશ આપવા માંગણી
નવી દિલ્હી, તા. ૨૫ :. સુપ્રિમ કોર્ટમાં ગઈકાલે ૨૧ વિપક્ષોએ પુનઃ વિચાર અરજી દાખલ કરી જેમાં ૫૦ ટકા ઈવીએમની ચકાસણી વીવીપેટ મશીનોથી કરાવવાનો આદેશ આપવાની માંગણી કરી હતી. આ બારામાં પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીમાં દેશભરમાં ઈવીએમમાં કથીત ઘાલમેલની ફરીયાદો મળ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી.
વિપક્ષોએ ૧૪મી માર્ચે પણ એક અરજી દાખલ કરી વીવીપેટ મશીનો થકી ઈવીએમની ચકાસણીની માંગણી કરી હતી. સુપ્રિમ કોર્ટે ૮ એપ્રિલે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં પ્રત્યે વિધાનસભા મત વિસ્તારમાં વીવીપેટની સંખ્યા વધારીને પાંચ કરી દયે. કોર્ટે કહ્યુ હતુ કે, આ ચૂંટણી પ્રક્રિયામાં ઉચ્ચત્તમ શુદ્ધતા અને સંતુષ્ઠિ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યુ છે. તેના પાંચ દિવસ બાદ કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ હતુ કે, તેઓ વીવીપેટ થકી ૫૦ ટકા ઈવીએમની તપાસની માંગણીને લઈને એક પુનઃ વિચાર અરજી દાખલ કરવા ઈચ્છે છે.
૧૭મી લોકસભાની રચના માટે ૩ તબક્કામાં ૩૦૨ બેઠકો પર મતદાન થઈ ચૂકયુ છે. એક પણ તબક્કો એવો નહોતો જેમા ઈવીએમને લઈને વિપક્ષોએ સવાલ ઉઠાવ્યા ન હોય. તેઓએ કહ્યુ છે કે ઈવીએમ હેક થઈ શકે છે. મેમરી ચીપ, મધર બોર્ડ બદલી શકાય છે. રીપ્રોગ્રામીંગ દરમિયાન છેડછાડની સંભાવના છે. કંટ્રોલ યુનિટ ડીસ્પ્લે વાયરલેસ કોમ્યુનિકેશનથી કંટ્રોલ થઈ શકે છે. જ્યારે ચૂંટણી પંચનુ કહેવુ છે કે છેડછાડ શકય નથી. ચીપ કે મધર બોર્ડ બદલવા પર પક્કડમાં આવી જાય છે. ઈવીએમનુ સીલ તોડવાનું સંભવ નથી.
ભાજપનું કહેવુ છે કે, હાર ભાળી ગયુ છે તેથી વિપક્ષ ઈવીએમને દોષ આપે છે.