સોયા મિલ્ક અને સોયા પનીરનો પ્લાન્ટ ખોલીને ઓછા રોકાણમાં સારા બિઝનેશની તક
મુંબઈ : જો તમે તમારું કોઈ કામ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા હો અને તમારી પાસે બહુ મોટું બજેટ ન હોય તો એક ખાસ બિઝનેસની તક છે. હવે કોઈ વ્યક્તિ શહેરમાં પણ ઓછા રોકાણથી પોતાનો ડેરી પ્લાન્ટ ખોલી શકે છે. આજકાલ સોયા મિલ્ક અને સોયા પનીરની માર્કેટમાં બહુ ડિમાન્ડ છે. સોયા મિલ્કની પોષ્ટિકતા અને સ્વાદ ગાય-ભેંસના દૂધ જેવો નથી પણ એ સ્વાસ્થ્ય માટે સારું છે. દર્દીઓ માટે આ દૂધ સારું ગણાય છે. સોયાબીનના પનીરને ટોફુ કહેવામાં આવે છે.
સોયા મિલ્ક પ્લાન્ટ શરૂ કરવા માટે બહુ ઓછી જગ્યા અને એક મશીનની જરૂર પડે છે. આ મશીન કોઈપણ વ્યક્તિ નાનકડી ટ્રેઇનિંગ લીધા પછી સરળતાથી ઓપરેટ કરી શકે છે. ખાસ વાત તો એ છે કે હવે સોયા મિલ્ક પ્લાન્ટ માટે સરકાર દ્વારા પણ આર્થિક મદદ આપવામાં આવે છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને આ વર્ષે પોતાના કાર્યક્રમમાં સોયા મિલ્ક પ્લાન્ટનો પણ સમાવેશ કર્યો છે.
NSIC આ પ્રોગ્રામ મારફતે સોયાબીનથી દૂધ બનાવવાની અને એના માર્કેટિંગની ટ્રેઇનિંગ આપશે. આ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 90 ટકા સુધી લોન પણ આપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ લગભગ 11 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં મુદ્રા લોન પ્રોજેક્ટ હેઠળ 80 ટકા લોન મળશે. આમ, મુદ્રા યોજના હેઠળ લોન લીધા પછી વ્યક્તિએ માત્ર બે લાખ રૂપિયાનું જ રોકાણ કરવું પડશે.