મુંબઈ, પુલવામા, પઠાણકોટ હુમલો...ત્રાસવાદ મામલે ભારતે યુનોમાં પાકિસ્તાનના છોતરા કાઢયા
ત્રાસવાદીઓને ખુલ્લેઆમ મદદ કરતુ હોવાનો આરોપ મુકી પાકિસ્તાનની ઈજ્જતના લીરા ઉડાવ્યા ભારતીય પ્રતિનિધિએ
જીનીવા, તા. ૨૫ :. સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં પાકિસ્તાનના બધાની સમક્ષ ઈજ્જતના લીરા ઉડી ગયા છે. ભારતે ખોટુ બોલવાની ટેવને લઈને પાકિસ્તાનને ધોઈ નાખ્યુ હતું. ભારતીય પ્રતિનિધીએ આંતરરાષ્ટ્રીય મંચથી નિરાધાર અને ખોટા પ્રચાર કરવા માટે પાકિસ્તાનને આડે હાથ લેતા તેને અરીસામાં જોવા કહ્યુ હતુ. હકીકતમાં પાકિસ્તાને આ બેઠકમા કાશ્મીરને લઈને જુઠાણા ફેલાવ્યા હતા જેના જવાબમાં ભારતે તેની બોલતી બંધ કરી દીધી હતી.
કાશ્મીરમાં સતત આતંકી હુમલા કરાવી રહેલ પાકિસ્તાનને ભારતે આડે હાથ લીધુ હતુ. ભારતે કહ્યુ હતુ કે કેટલાક રાષ્ટ્રો ત્રાસવાદીઓને મદદ કરી રહ્યા છે. ભારતે સર્જીકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કરતા કહ્યુ હતુ કે આતંકીઓના હુમલાના જવાબમાં આત્મરક્ષાનો અધિકાર લાગુ થાય છે.
ભારતના પ્રતિનિધિ નાગરાજ નાયડુએ કહ્યુ હતુ કે ત્રાસવાદીઓની મદદ કરવાવાળા રાષ્ટ્રો તેમને તાલીમ, નાણાકીય મદદ, હથીયાર અને ભરતીની સુવિધા આપે છે. ભારતે પઠાણકોટ અને પુલવામા મુંબઈ હુમલો વગેરે મામલે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.