મલાડના મેદાનને ટીપુ સુલતાનનું નામ અપાતાં હોબાળો થયો
કોંગ્રેસી નેતાએ મેદાનનું નામ આપતાં વિવાદ : મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી તેમજ કોંગ્રેસના નેતા અસલમ શેખે મેદાનને નામ આપતાં ભાજપે ઝાટકણી કાઢી
મુંબઈ, તા.૨૫ :મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી તેમજ કોંગ્રેસના નેતા અસલમ શેખે મુંબઈના મલાડ વિસ્તારના એક મેદાનને ટીપુ સુલતાનનુ નામ આપ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. રિપબ્લિક ડે નિમિત્તે તેઓ તેનુ ઉગટાન કરવાના છે.જોકે એ પહેલા ભાજપના પ્રવકતા રામ કદમે અસલમ શેખની ઝાટકણી કાઢી છે અને કહ્યુ છે કે, રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે હિન્દુત્વ મુદ્દે બીજાને સલાહ આપે છે અને તેમના જ મંત્રી ટીપુ સુલતાનના નામથી મેદાનનુ લોકાર્પણ કરવા જઈ રહ્યુ છે. કદમે કહ્યુ હતુ કે, ટીપુ સુલતાન હજારો હિન્દુઓનો હત્યારો છે,તેણે સેંકડો મંદિરો તોડયા હતા અને મહારાષ્ટ્રના હિન્દુવાદી મુખ્યમંત્રી શું આ મેદાનનુ નામ સહન કરશે અને તે પણ મહારાષ્ટ્રની ધરતી પર? વિશ્વ હિન્દુ પરિષદે પણ વિરોધ કરતા કહ્યુ છે કે, મહારાષ્ટ્ર સરકાર જો આ મેદાનના નામ પર રોક નહીં લગાવે તો અમે કાયદાકીય રીતે તેનો વિરોધ કરીશું. જોકે મુંબઈના શિવસેનાના મેયર કિશોરી પેડનેકરે કહ્યુ છે કે, ભાજપે જ ૨૦૧૩માં ગોવંડીમાં એક ગાર્ડનનુ નામ ટીપુ સુલતાન પર રાખ્યુ હતુ અને હવે ભાજપ તેનો વિરોધ કરે છે.જેનાથી ભાજપનુ બેવડુ વલણ છતુ થાય છે.