ભીમા કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપાઈ : ઉદ્ભવ ઠાકરે સરકારે કહ્યું - અમને પૂછ્યું ય નથી
ગઈકાલે જ મહારાષ્ટ્ર સરકારે તપાસને લઈને પોલીસ સાથે એક રિવ્યૂ મિટિંગ કરી હતી
મુંબઈ : 2018ના ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલ બધા કેસોની તપાસ હવે NIA ને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે એક દિવસ પહેલા જ આ કેસમાં થઈ રહેલી તપાસને લઈને પોલીસ સાથે એક રિવ્યૂ મિટિંગ કરી હતી.
NIAને મામલો સોંપી દેવામાં આવ્યા પછી મહારાષ્ટ્રની વિકાસ અઘાડી સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણની આશંકા વધી ગઈ છે. તપાસ NIAને સોપાયા પછી ઉદ્ધવ સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ આમ કરતા પહેલા તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત કરી ન હતી. આ પહેલા રિવ્યૂ મિટિંગના કેટલાક કેસ પાછા લેવા અને આખા મામલાની તપાસ SIT દ્વારા કરાવવા પર ચર્ચા થઈ હતી
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સમીક્ષા કરવા માટે ગુરુવારે સવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના રાજ્ય સચિવાલયમાં થયેલી આ રિવ્યૂ મિટિંગ એક કલાકથી વધારે ચાલી હતી.
ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ 1 જાન્યુઆરી 2018ના રોજ થયેલી ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સ્થિતિ વિશે ઉપ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણકારી આપી હતી. મળેલી જાણકારી પ્રમાણે આવી જ વધુ એક બેઠક થવાની હતી તે પહેલા આ મામલો NIAને સોપી દેવામાં આવ્યો હતો.