હવે ઈન્કમટેક્સ રિટર્ન ૩૧ ડિસેમ્બર સુધી ભરી શકાશે
કોરોનાને લીધે સરકારનો રાહત આપતો નિર્ણય : જે કરદાતાઓના ઓડિટ રિપોર્ટ જોડવાનો હોય એવી રિટર્ન ફાઇલ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ભરી શકાશે
નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના કાળમાં આવકવેરા વિભાગે ઈનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે સામાન્ય નાગરિકો, જેમણે તેમના રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવી પડતી નહોતી તેઓ વર્ષ ૨૦૧૯-૨૦ માટે પોતાનું રિટર્ન ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ફાઇલ કરી શકે છે. આ પહેલા રિટર્ન ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે એવા કરદાતાઓ જેમના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ નથી લાગતો તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી પોતાનું રિટર્ન ભરી શકશે. આ પ્રકારના કરદાતાઓ કે જેમને રિટર્નમાં ઓડિટ રિપોર્ટ જોડવાનો છે તેમના માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ નક્કી કરવામાં આવી છે.
મે મહિનાની શરૂઆતમાં સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯ - ૨૦ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને ૩૦ નવેમ્બર ૨૦૨૦ કરી હતી. આ સિવાય વેરાના વિવાદોના સમાધાન માટે લાવવામાં આવેલી 'ડિસ્પ્યુટ ટુ કોન્ફિડન્સ સ્કીમ' નો લાભ પણ કોઈપણ વધારાના ચાર્જ વિના ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારવામાં આવ્યો હતો.