યુ.પી. પેટા ચુંટણીમાં બ્રાહ્મણ કાર્ડઃ કુશીનગરમાં તમામપક્ષોએ ફકત ત્રિપાઠીઓને જ ટીકિટ આપી
લખનૌ તા. ર૪: યુ.પી.ના રાજકારણમાં બ્રાહ્મણો કાયમ પ્રભાવી રહ્યા છે. પણ હાલમાં યુપીનું રાજકારણ સંપૂર્ણપણે બ્રાહ્મણ કેન્દ્રિત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો માટે થઇ રહેલ પેટા ચુંટણીમાં રાજયની લગભગ ૧ર ટકા બ્રાહ્મણ વસ્તીને લોભાવવા માટે કોંગ્રેસ બ્રાહ્મણ કાર્ડ ખેલવાની તૈયારીમાં છે. કુશીનગરમાં બધા પક્ષોએ બ્રાહ્મણોમાં પણ ફકત ત્રિપાઠીઓને જ ટીકીટ આપી છે તો કોંગ્રેસે તો તેનાથી પણ એક ડગલું આગળ વધીને ચુંટણીનો મેચ જીતવા માટે ટી-ર૦ ની જેમ પોતાની ટી-ર૦ ટીમ ઉતારી છે. આ ટીમ દરેક જીલ્લામાં બ્રાહ્મણોને એક કરવા માટે બ્રાહ્મણ લીગલ ફોર્સના નામથી કામ કરશે.
બ્રાહ્મણ લીગલ ફોર્સની ટીમોની મદદ માટે ભૂતપૂર્વ અધિકારીઓ, વકીલો અને સમાજ સેવી સંગઠનોનું એક માર્ગદર્શક મંડળ પણ બનાવાશે. ભૂતપૂર્વ સાંસદ જીતીન પ્રસાદની બ્રાહ્મણ ચેતના પરિષદ પણ આ ફોર્સનો હિસ્સો હશે.
કોંગ્રેસની બ્રાહ્મણ લીગલ ફોર્સ બ્રાહ્મણો વચ્ચે વિશ્વાસ ઉભો કરવા અને બ્રાહ્મણો સામેની અપરાધિક ઘટનાઓમાં કાયદાકીય મદદની સાથે તેમને સામાજીક મદદ પણ કરશે. તે પીડિત પરિવારોના કેસ પણ લડશે. અત્યારે બ્રાહ્મણ-ચેતના પીરષદના પ્રમુખ ભૂતપૂર્વ આઇ.એે.એસ. વી. પી. મિશ્રા છે. રપ જીલ્લાઓમાં તેના પ્રમુખ જાહેર થઇ ચુકયા છે. મોટા ભાગના જીલ્લા પ્રમુખો યુવાનો છે જે પીડિત બ્રાહ્મણો માટે ર૪ કલાક ઉપલબ્ધ રહેશે.