વંદે ભારત મિશન હેઠળ વિવિધ દેશોમાંથી 19.40 લાખ ભારતીયોને સ્વદેશ લવાયા
છેલ્લા 4 મહિનામાં ગુજરાતના 24,502 લોકો સ્વદેશ આવ્યા
નવી દિલ્હી : વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં અટવાયેલા 19 લાખ 40 હજાર ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દિલ્હીમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, ગત પહેલી ઓક્ટોરથી શરૂ થયેલ 7માં તબક્કાના વંદે ભારત મિશન હેઠળ એક હજાર પચાસ આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનો હાથ ધરાશે. આ પૈકી 20 દેશોમાંથી 690 વિમાન ઉડ્ડયનો દ્વારા એક લાખ 30 હજાર જેટલા ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બરથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે અમેરિકા, યુકે, રશિયા તેમજ ભારત સહિતના મોટાભાગના દેશોના લોકોને માનસિક તેમજ આર્થિક રીતે પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ભણવા તેમજ નોકરી-ધંધા માટે વિદેશ જઈને વસવાટ કરતા હોય છે. જોકે કોરોના મહામારીને પગલે પ્રથમવાર એવું બન્યું હશે જ્યારે, વિદેશ જવાની જગ્યાએ વિદેશથી પોતાના વતન આવનાર લોકોની સંખ્યા ખુબ જ વધી છે. ગત છેલ્લા 4 મહિનામાં ગુજરાતના 24,502 સહિત દેશભરમાંથી કુલ 14 લાખની આસપાસ ભારતીયો પોતાના વતન પરત ફર્યા છે.