પહેલા આપણે જાતિ અને ધર્મનાં નામે વહેંચાતા, હવે રસીનાં નામે વહેંચી રહ્યા છીએ : સંજય રાઉતના પ્રહાર
અગાઉ વડા પ્રધાને કહ્યું હતું કે દરેકને રસી મળશે. પરંતુ હવે શું કોઈ નવી સિસ્ટમ બનાવી છે ??
મુંબઈ : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો પૂરજોર તૈયાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે ઘણા મોટા વચનો આપી રહ્યા છે.ભાજપે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં પોતાનો ઘોષણા પત્ર જાહેર કર્યો છે. ત્યારબાદથી વિરોધી પક્ષો ભાજપ પર નિશાન તાકી રહ્યા છે.
ભાજપાએ મફત કોરોના રસી આપવાનું કહ્યું છે. જેને લઇને શિવસેનાનાં નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, જ્યારે અમે બાળકો હતા ત્યારે એક ઘોષણા કરવામાં આવી હતી, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’ હવે હું એક નવી જાહેરાત જોઈ રહ્યો છું, ‘તમે મને મત આપો, અમે તમને રસી આપીશું,’
તેમણે વધુમાં કહ્યું કે, ‘પહેલા આપણે જાતિ અને ધર્મનાં નામે વહેંચાતા હતા, હવે આપણે રસીનાં નામે વહેંચી રહ્યા છીએ. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન અને વડા પ્રધાન મોદીનાં નામ લેતાં તેમણે કહ્યું કે, તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે અગાઉ વડા પ્રધાને કહ્યું હતું કે દરેકને રસી મળશે. પરંતુ હવે શું કોઈ નવી સિસ્ટમ બનાવી રહ્યા છો કે જ્યાં ભાજપ સરકાર હશે ત્યાં કોરોના રસી મળશે. તે સંશોધનનો વિષય છે.