સીબીઆઈની છાપ સુધારવા બધા પગલાઓ જરૂરી બન્યા
કાર્યવાહીને લઇને અરુણ જેટલીએ જવાબ આપ્યા : સીવીસીની ભલામણ બાદ નિર્ણયના અહેવાલને રદિયો
નવીદિલ્હી, તા. ૨૪ : સીબીઆઈના બે ટોચના અધિકારીઓમાં જંગ અને તેમના ઉપર કાર્યવાહીને લઇને સરકારે આજેજવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, આ પ્રકારના નિર્ણય લેવાની બાબત જરૂરી બની ગઈ હતી કારણ કે, તપાસ સંસ્થાની છાપ ખરાબ થઇ રહી હતી. દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાની છાપ ખુબ ખરાબ થઇ ગઈ હતી. સરકારે વિરોધ પક્ષના એવા આક્ષેપોને ફગાવી દીધા હતા કે સીવીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે અધિકારીઓને દૂર કરવાનો નિર્ણય કર્યા હતા. કેન્દ્ર સરકારે સીબીઆઈની ઐતિહાસિક છાપ રહી છે તેવો દાવો કરતા કહ્યું હતું કે, તેની ઇમાનદારીને જાળવી રાખવાની બાબત ખુબ જરૂરી હતી. સીવીસીની ઇચ્છાના મામલામાં એક એસઆઈટી સમગ્ર મામલામાં તપાસ કરશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે, જો અધિકારી નિર્દોષ હશે તો તેમની વાપસી થશે. કેન્દ્રએ કઠોર પગલા લઈને સીબીઆઈ વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલી દીધા છે. અરુણ જેટલીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, સીબીઆઈમાં આ એક મોટી વિચિત્ર સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. બે ટોચના અધિકારી એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા. હવે આ આક્ષેપોમાં તપાસ કોણ કરશે તે સરકારના અધિકાર ક્ષેત્રનો મામલો નથી. નિષ્પક્ષ તપાસ માટે આ અધિકારીઓને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. સીબીઆઈ એક્ટની કલમ ૪૧ હેઠળ સીવીસીની પાસે ભ્રષ્ટાચારના મામલામાં તપાસના અધિકાર છે. સીવીસી તપાસ કરી શકે છે. તપાસ કોણ કરશે. કોને સાક્ષી બનાવશે તે સીઆરપીસી હેઠળ તપાસ એજન્સી અને અધિકારીના અધિકાર હોય છે.