પતિ શહીદ, દીકરી જન્મી તો માએ કહ્યું- આર્મીમાં જશે
શનિવારે પહેલા શહીદ થયેલા સૈનિકના ઘરે પુત્રી જન્મી
શ્રીનગર, તા.૨૪: જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં શનિવારે થયેલા એક એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ ત્રણમાંથી એક નામ લાન્સ નાયક રંજીત સિંહ ભુટયાલનું પણ હતું. પતિને બે દિવસ પહેલા જ ગુમાવી ચૂકેલી શિંપૂ દેવીએ સોમવારે એક દીકરીને જન્મ આપ્યો છે.
રામબનમાં દીકરીને જન્મ આપ્યા બાદ રંજીત સિંહની પત્ની શિંપૂ દેવીએ કહ્યું કે, 'હું ઈચ્છું છું કે, મારી દીકરી પણ આર્મી જોઈન કરે અને તેના પિતાની જેમ જ દેશની સેવા કરે.' ઉલ્લેખનીય છે કે, લાન્સ નાયક રંજીત સિંહ ઉપરાંત હવાલદાર કૌશલ કુમાર અને રાઈફલમેન રજત કુમાર પણ શહીદ થઈ ગયા હતા.
આ એન્કાઉન્ટર વિશે સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, 'નિયંત્રણ રેખાની નજીક સુંદરબની સેકટરમાં સશસ્ત્ર હથિયારોથી લેસ બે ઘૂસણખોરો અને આર્મી વચ્ચે શનિવારે લગભગ બપોરે ૧.૪૫ કલાકે મિનિટ પર અથડામણ થઈ હતી. સર્ચ ટીમે બે ઘૂસણખોરોને ઠાર માર્યા અને બે એકે-૪૭ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા.' તેમણે જણાવ્યું કે, ઘૂસણખોરોની સાથે અથડામણમાં ત્રણ સૈનિક શહીદ થઈ ગયા અને એક અન્ય સૈનિક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો, જેને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરના આર્મી કમાન્ડ હોસ્પિટલ લઈ જવાયો. પ્રવકતાએ જણાવ્યું કે, ઘાયલ સૈનિકની હાલત સ્થિર જણાવાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, આસપાસના ક્ષેત્રને બંધ કરી દેવાયો છે અને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.