તહેવારોની સીઝન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી કોરોના ગાઇડલાઇન
દેશમાં આગામી તહેવારોની સીઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી ગાઇડલાઇન જારી કરી છે
નવી દિલ્હી,તા.૨૪: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં આગામી તહેવારોની સીઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી ગાઇડલાઇન જારી કરી છે. એક પ્રેસ બ્રીફિંગમાં, કેન્દ્રીય સચિવ (આરોગ્ય) રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં કોવિડ-૧૯ ની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી, અને કેટલાક રાજયોમાં સંક્રમણ વધવાના કારણે પગલા હળવા કરવા સામે ચેતવણી આપી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે લોકોને તહેવારોની સીઝન પહેલા સાવચેતી રાખવા જણાવ્યું હતું.
રાજેશ ભૂષણે કહ્યું કે, ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ નાં આરોગ્ય મંત્રાલયનાં પત્ર સાથે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિગતવાર માનક પ્રક્રિયા (SOP) જારી કરવામાં આવી હતી. મંત્રાલયે ૫%થી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લાઓ તરીકે ઓળખાતા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા ટાળવા જણાવ્યું હતું. તહેવારોની સીઝનમાં લેવાતી સાવચેતીઓ અંગે કેન્દ્ર દ્વારા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર SOP જારી કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટનાં આધારે છૂટછાટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. ભૂષણે વધુમાં કહ્યું કે, એ મહત્વનું છે કે આપણે હજુ પણ કોવિડને ધ્યાનમાં રાખી કાળજી જાળવી રાખીએ. આપણે એ પણ સુનિヘતિ કરવું જોઈએ કે કોરોના રસીકરણનાં વિસ્તરણને ઝડપથી પ્રોત્સાહન આપવામાં આવે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત ૧૨ માં સપ્તાહમાં નીચે આવ્યો છે. તે ૩% કરતા ઓછું છે.
તેમણે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ વધીને ૯૭.૮% થયો છે. તેમણે કહ્યું કે, કેટલાક રાજયોમાં રસીકરણ પર જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે. આને કારણે, ૧૮+ વસ્તીમાંથી ૬૬% ને કોરોનાની ઓછામાં ઓછી એક માત્રા મળી છે. ૨૩% ને બંને ડોઝ મળ્યા છે. સચિવે એ પણ માહિતી આપી કે લગભગ ૬૨ કરોડ લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, સાડા ૨૧ કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો છે. ૯૯% આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને ૮૪% ને બીજી ડોઝ મળી છે. ફ્રન્ટલાઈન કર્મચારીઓમાં પ્રથમ ડોઝ ૧૦૦% અને ૮૦% લોકોને બીજી ડોઝ મળી છે.