દેશના મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, પંજાબ, યુપી અને કર્ણાટક સહિત 7 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનકઃ આ રાજ્યોના 60 જિલ્લાઓમાં સૌથી વધુ પ્રકોપ
નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસ રોજેરોજ સરેરાશ પોણો લાખ ઉમેરાઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 86,508 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 5,732,519 પર પહોંચ્યો છે. જેમાંથી 9,66,382 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 46,74,988 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 1129 લોકોનો ભોગ લીધો. આ સાથે દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુનો આંકડો 91,149 પર પહોંચ્યો છે. દેશમાં સાતસોથી વધુ જિલ્લામાં ફ્ક્ત 60 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. પીએમ મોદીએ ગઈ કાલે કોરોનાનો ભયંકર પ્રકોપ ઝેલી રહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કોરોનાને અટકાવવાના ઉપાયો પર ચર્ચા કરી.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 6,74,36,031 નમૂનાનું પરીક્ષણ કરાયુ છે. 23મીના ગઈ કાલના રોજ 11,56,569 નમૂનાનું પરીક્ષણ કરાયું. આમ દેશમાં કોરોના ટેસ્ટિંગ પણ વધી રહ્યા છે.
કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમએ કરી વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતાં. આ વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 700થી વધુ જિલ્લા છે. જેમાં ભયજનક સ્થિતિવાળા 60 જિલ્લા છે. સાત રાજ્યોના આ 60 જિલ્લાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને સલાહ આપતા કહ્યું કે તેઓ સાત દિવસનો કાર્યક્રમ બનાવે. દરરોજ એક કલાકનો સમય કાઢીને તહસીલના એક કે બે બ્લોકના લોકો સાથે સીધી વાતચીત કરે. સાત દિવસ સુધી સતત આ પ્રકારે મિશન મોડમાં કામ કરતા બ્લોક લેવલ સુધી વર્ચ્યુઅલ કોન્ફરન્સ કરે. જેનાથી ઘણી મદદ મળશે.
કેસ વધ્યા પણ સામે ટેસ્ટ પણ વધ્યા
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. જો કે દસ લાખથી વધુ ટેસ્ટ પણ થાય છે. સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાને રોકવા માટે સ્થાનિક સ્તરે અનેક નવા નવા પ્રયોગો થયા છે. આપણે આ અનુભવોથી વધુમાં વધુ શીખવું પડશે. સુખદ અનુભવોનો લાભ લેવો પડશે. તેમણે કહ્યું કે સંયમ, સંવેદના, સંવાદ અને સહયોગનું જે પ્રદર્શન કોરોનાકાળમાં દેશે દેખાડ્યુ છે તેને આપણે આગળ પણ ચાલુ રાખવાનું છે. સંક્રમણ વિરુદ્ધ લડાઈની સાથે સાથે હવે આર્થિક મોરચે પણ આપણે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે ખરાબ પરિસ્થિતિમાં પણ સમગ્ર વિશ્વમાં જીવનરક્ષક દવાઓની આપૂર્તિ સુનિશ્ચિત કરી છે. આવામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દવાઓ સરળતાથી પહોચે તે આપણે મળીને જોવું પડશે. ગત મહિનાઓમાં કોરોના સારવાર સંબંધિત જે સુવિધાઓનો વિકાસ કર્યો છે તે આપણને કોરોના સામે લડતમાં ખુબ મદદ કરી રહી છે. હવે કોરોના સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું જ છે પરંતુ જે આપણા હેલ્થ સાથે જોડાયેલ, ટ્રેકિંગ-ટ્રેસિંગ સંલગ્ન નેટવર્ક છે તેમની પણ સારી ટ્રેનિંગ કરવાની છે.