મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

ગૃહ મંત્રાલયે પીસ ટીવી પર પ્રતિબંધ મુક્‍યા બાદ ભાગેડુ ઝાકીર નાઇકની મોબાઇલ એપ અને યુ ટયુબ ચેનલ તેમજ ફેસબુક પર સકંજો કસવા તૈયાર

નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈકના પીસ ટીવી મોબાઈલ એપ, પીસ ટીવી નામથી યુટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પર સકંજો કસવાની તૈયારી થઈ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ Peace TV પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક દેશના યુવાઓને કટ્ટરપંથી બનાવીને જેહાદી બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. આઈબીએ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં આ મોટો ખુલાસો  થયો છે.

ગૃહ મંત્રાલય દ્વારા પીસ ટીવી પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક સુરક્ષા એજન્સીઓથી બચવા માટે પીસ ટીવી મોબાઈલ એપ અને સોશિયલ મીડિયા દ્વારા ભડકાઉ વીડિયો અપલોડ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાલમાં જ ગૃહ મંત્રાલયમાં IB, NIA અને અન્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓની મીટિંગ થઈ હતી. જેમાં ઝાકિર નાઈકના આ પ્રકારના વીડિયોને દેશના સાંપ્રદાયિક વાતાવરણ માટે જોખમ ગણાવાયા હતાં.

ઝાકિર નાઈકે હાલમાં જ યુટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ભારતમાં 60 ટકાથી ઓછા હિન્દુ છે, આથી આવામાં તમામ મુસલમાનોએ ભેગા થવું જોઈએ અને પોતાના નેતાઓ અને પાર્ટીઓને જીતાડવા જોઈએ. આ મામલે નજર રાખી  રહેલા અધિકારીઓએ ઝી મીડિયાને જાણકારી આપી છે કે તેમણે  MeitY (Ministry of Electronics and information technology) ને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

(4:55 pm IST)