એકિટવ કેસ ઘટીને ૬.૨૭ લાખ : ૩૦ કરોડ લોકોનું રસીકરણ
૨૪ કલાકમાં વધુ ૫૪,૦૬૯ લોકો કોરોનાથી થયા સંક્રમિત : ૧,૩૨૧ દર્દીઓ કોવિડ સામે હાર્યા
નવી દિલ્હી તા. ૨૪ : દેશવાસીઓને કોરાનાની બીજી લહેરમાં આંશિક રાહત મળી છે પરંતુ કુલ સંક્રમિતોની સંખ્યા ૩ કરોડને પાર થઈ ગઈ છે, જેની સામે ૨ કરોડ ૯૦ લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ, કુલ મૃત્યઆંક ૩ લાખ ૯૧ લાખને પાર પહોંચી ગયો છે. પણ રાહતની વાત એ છે કે દેશમાં એકિટવ કેસની સંખ્યા ૬.૨૭ લાખ જેટલા ઓછા થઈ ગયા છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ ૯૬.૬ ટકા છે. મહત્ત્વનું છે કે દેશમાં ૩૦ કરોડથી વધુ લોકોને કોરોના વેકસીન આપવામાં આવી છે.
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૪,૦૬૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૩૨૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૦,૮૨,૭૭૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૦,૧૬,૨૬,૦૨૮ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોનાની મહામારી સામે લડીને ૨ કરોડ ૯૦ લાખ ૬૩ હજાર ૭૪૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૬૮,૮૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૬,૨૭,૦૫૭ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૧,૯૮૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૭૮,૩૨,૬૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૮,૫૯,૪૬૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.