મરાઠા અનામત સામે દાખલ અરજી ઉપર સુનાવણીની ના
સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો : રાજ્ય સરકારે મરાઠાને ૧૬ ટકા અનામતનો હુકમ કર્યો
નવી દિલ્હી, તા. ૨૪ : સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો આજે ઈન્કાર કરી દીધો હતો. આ અરજીમાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેકવામાં આવ્યો હતો. પીજી મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે મરાઠાને ૧૬ ટકા અનામત આપવાનો આદેશ કર્યો હતો. સરકારના આ ચુકાદાની સામે પહેલા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે જ્યારે અરજી ફગાવી દીધી ત્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ ડીઆર ગવઈની બેચે કહ્યું હતું કે, ૧૭મી જુનના દિવસે પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં અરજી પર કોઈ આદેશ જારી કરવામાં આવશે નહીં. આના કારણે જટીલ સ્થિતિ ઉભી થઈ શકે છે. ૧૬ ટકા અનામતના ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્યો હતો.