બિહારઃ 'ચમકી તાવ'થી પીડિત પરિવારો અત્યંત ગરીબઃ ૮૨ ટકા મજુરી કરે છેઃ સર્વે
પ્રતિ માસ પરિવારોની આવક માત્ર રૂ. ૪૪૬૫
નવી દિલ્હી, તા. ૨૪ :. બિહાર સરકાર દ્વારા ચમકી તાવથી પીડિત પરિવારોનું આચરણ ઓડિટ કરાવાયુ છે જે પરથી બહાર આવ્યુ છે કે, મોટાભાગનો પરિવાર અત્યંત ગરીબ છે અને તેમાંથી મોટાભાગનો પરિવાર મજુરી કરે છે. પીડિત પરિવારોમાંથી ૩/૪ પરિવાર ગરીબી રેખાથી નીચે છે.
આ પરિવારોની વાર્ષિક આવક ૫૨૫૦૦ રૂ. સુધીની છે. જેનો અર્થ એ છે કે મહિને આ પરિવારોની આવક રૂ. ૪૪૬૫ છે. ૨૦૧૧-૧૨માં જારી રંગરાજન કમીટીના રીપોર્ટ મુજબ ગ્રામિણ બિહારમાં સરેરાશ ગરીબી રેખા ૯૭૧ રૂ. પ્રતિ માસ નક્કી થઈ છે. જે મુજબ ૧ પરિવારના ૫ સભ્યો માટે ૪૮૫૫ની આવક નક્કી થઈ છે. જો તેમાં ૮ વર્ષમાં ૨ ટકા મોંઘવારી જોડાય તો પ્રતિ વ્યકિત આવક આજની તારીખમાં ૧૧૩૮ થવી જોઈએ અને ૫ સભ્યોના પરિવારની માસિક આવક ૫૭૦૭ હોવી જોઈએ.
સર્વે મુજબ ૭૭ ટકા પરિવાર એવા છે જેની આવક ૫૭૭૦થી ઓછી છે. જેમાં ૬થી ૯ સભ્યો હોય છે. ૮૨ ટકા મજુરી કરે છે. એક તૃત્યાંશ પાસે રાશનકાર્ડ પણ નથી. ૨૮૭ પરિવારોમાંથી ૨૦૦એ સ્વીકાર્યુ કે બાળકો તડકામાં રમતા હતા. ૧૯૧ પરિવારો કાચા ઘરમાં રહે છે.(૨-૫)