મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

બાડમેરમાં રામકથા દરમિયાન મંડપ ધરાશાયી થતા ૧૭ મોત

ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત હજુ પણ ગંભીર : બાડમેરના જસોલ ગામમાં રામકથાનુ આયોજન કરવામાં આવ્યું હતું : વિશાળ મંડપ એકાએક પ્રચંડ આંધી તેમજ વરસાદથી ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ

બાડમેર,તા. ૨૩ : રાજસ્થાનના બાડમેરના બાલોતરા નજીક જસોલ ગામમાં આજે પ્રચંડ આંધી અને વરસાદના કારણે મંડપ ધરાશાયી થઈ જતા ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થઈ ગયા છે. અન્ય ૭૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જસોલ ગામમાં સ્થિત એક ધામમાં રામકથા માટે મોટો મંડપ બનાવવામાં આવ્યો હતો. આજે બપોર બાદ એકાએક જોરદાર આંધી અને વરસાદના કારણે મંડપનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેથી ત્યા ઉપસ્થિત રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. મળેલી માહિતી મુજબ લોકો અહીં રામકથા સાંભળવા માટે આવ્યા હતા. આ ગાળા દરમિયાન એકાએક જોરદાર વરસાદ તુટી પડ્યો હતો. આંધી પણ ચાલી હતી. જેના કારણે મંડપનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી હતી. મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલાઓ અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા. ઘાયલ થયા લોકોની સંખ્યા ૭૦થી વધુ દર્શાવવામાં આવી છે. સ્થાનિક લોકોએ ઘાયલ થયેલા લોકોને ખાનગી વાહનોથી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તંત્ર દ્વારા પણ તમામ તબીબો અને મેડિકલ સ્ટાફને હોસ્પિટલ પહોંચી જવા કહેવામાં આવ્યુ હતું. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ટેન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટેન્ટ પડી જવાના કારણે તેમાં કરંટ ફેલાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બાડમેરના જસોમાં રામકથા દરમિયાન બનેલી આ ઘટના અંગે મુખ્યમંત્રી અશોક ગહેલોત, કેન્દ્રિય મંત્રી કૈલાશ ચોધરીએ દુખ વ્યક્ત કર્યુ છે. ઘાયલ થયેલા લોકો સંદર્ભમાં વિવિધ પ્રકારની માહિતી આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે. ઘાયલ થયેલા લોકો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના મોદીએ કરી છે. આ ઘટના બાદ વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યુ છે. તબીબોની રજા રદ્દ કરી દેવામાં આવી છે. વરસાદ દરમિયાન મંડપમાં અફરાતફરીનો માહોલ રહ્યો હતો. એક અન્ય ટ્વીટમાં અધિકારીઓ કહ્યુ છે કે, ઈજાગ્રસ્તોને નાહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ માનવામાં આવે છે કે, પ્રચંડ તોફાનના કારણે લોકોને બિલકુલ તક મળી ન હતી અને મંડપ ધરાશાયી થઈ ગયો હતો. બચાવ અને રાહત ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુન્ધરા રાજે દ્વારા ટ્વિટ કરીને બનાવ અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, રામ કથા દરમિયાન બનેલી ઘટનાના સમાચાર સાંભળીને ખુબ દુખ થયુ છે. રાજેએ કહ્યું છે કે, ભાજપના તમામ કાર્યકરોને અપીલ કરીને મદદમાં પહોંચવામાં કહેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પરિવારોની મદદમાં આવવા કાર્યકરોને કહેવામાં આવ્યું છે. બી બાજુ રાજસ્થાન સરકાર દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાયતા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તાજેતરના સમયની આ સૌથી મોટી ઘટના છે. જેમાં તમામ લોકો હચમચી ઉઠ્યા છે. વરસાદના કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી હતી.

(12:00 am IST)