FIIનો હિસ્સો માર્ચમાં ઘટીને સાડા છ વર્ષના નીચા સ્તર પર
૩૧મી માર્ચે ઘટીને ૨૦ ટકા થયું હતું : હિસ્સો ડિસેમ્બર ૨૦૧૩ બાદથી સૌથી નીચા સ્તર ઉપર
મુંબઈ, તા.૨૪ : ભારતના ટોચના શેરોમાં વિદેશી રોકાણકારોની માલિકી માર્ચ ક્વાર્ટરમાં ઘટીને સાડા છ વર્ષના નીચા સ્તરે પહોંચી છે. કોરોના વાઇરસને કારણે વૈશ્વિક બજારમાં રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટને પગલે ભારતમાં પણ વિદેશી નાણાપ્રવાહને અસર થઈ છે. ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ૩૧ માર્ચના રોજ ઘટીને ૨૦ ટકા થયું હતું, જે ડિસેમ્બર ૨૦૧૩ પછીથી સૌથી નીચું છે, એમ ક્રેડિટ સુઇસના અહેવાલમાં જણાવાયું છે. બીએસઇ-૫૦૦ ઇન્ડેક્સના શેરોમાં પ્રમોટર્સની માલિકી માર્ચના અંતે વધીને ૪૪ ટકાના વિક્રમે પહોંચી હતી, જ્યારે સરકારનો હિસ્સો ઘટીને ૬.૬ ટકાના નવા નીચા સ્તરે પહોંચ્યો હતો. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ શેરહોલ્ડર્સનો હિસ્સો ૧૪ ટકાએ સ્થિર રહ્યો છે. એફઆઇઆઇ નિફ્ટીમાં ૨૪ ટકા હિસ્સો ધરાવે છે અને બીએસઇ-૫૦૦ શેરોમાં ૧૩ ટકા હિસ્સો ધરાવે છે. ક્રેડિટ સુઇસના ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું, *જો ઘરેલુ નાણાપ્રવાહમાં ઘટાડો થાય તો એફઆઇઆઇના નાણાપ્રવાહ પરના બજારના અવલંબનમાં વધારો થવાની ધારણા છે.