'મોદી લહેર'માં કોંગ્રેસના ૯ પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય
દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'પ્રચંડ લહેર' પર સવાર ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદ, હિન્દુ ગૌરવ અને 'ન્યૂ ઈન્ડિયા'ના મુદ્દા પર લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો
નવી દિલ્હી તા. ૨૪ : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'પ્રચંડ લહેર' પર સવાર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ, હિન્દુ ગૌરવ અને 'ન્યૂ ઈન્ડિયા'ના મુદ્દા પર લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને બીજી વખત કેન્દ્ર સરકાર બનાવવા જઈ રહી છે. 'મોદી લહેર'માં કોંગ્રેસના ૯ પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હાર્યા છે, પરંતુ વાયનાડમાં વિજય થયો છે.
મોદીની લહેરમાં કોંગ્રેસના અનેક મોટા દિગ્ગજ નેતાઓ પણ ટકી શકયા નથી. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં કેટલીક સીટો પર વિજય મેળવવા માટે ૯ પૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એક પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય મેળવી શકયા નથી. કોંગ્રેસના હારી ગયેલા પૂર્વ મુખ્યમંત્રીઓના નામ નીચે પ્રમાણે છે
૧. દિગ્વિજય સિંહ (પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશ)
૨. શીલા દીક્ષિત (પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી)
૩. ભૂપેન્દર સિંહ હૂડા (પૂર્વ મુખ્યમંત્રી હરિયાણા)
૪. હરીશ રાવત (પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડ)
૫. અશોક ચૌહાણ (પૂર્વ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર)
૬. સુશીલ કુમાર શીંદે (પૂર્વ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર)
૭. મુકુલ સંગમા (પૂર્વ મુખ્યમંત્રી મેઘાલય)
૮. નાબામ ટૂકી (પૂર્વ મુખ્યમંત્રી અરૂણાચલ પ્રદેશ)
૯. વીરપ્પા મોઈલી (પૂર્વ મુખ્યમંત્રી કર્ણાટક)
દિગ્વિજય સિંહને ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ભાપોલ સીટ પર ૩.૬૩,૯૩૩ વોટથી હરાવ્યા છે. શીલા દીક્ષિત ઉત્ત્।ર-પૂર્વ દિલ્હીમાં ચૂંટણી હારી ગયા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપીન્દર સિંહ હુડાને સોનીપતમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત નૈનીતાલ-ઉધમસિંહનગરની સીટ પર જીતી શકયા નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને પણ પરાજય જોવો પડ્યો છે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯નું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે કોંગ્રેસને માત્ર ૫૨ સીટ મળી રહી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં તો કોંગ્રેસનો માત્ર ૪૪ સીટ પર વિજય થયો હતો. આમ, ૫ વર્ષમાં કોંગ્રેસને માત્ર ૮ સીટનો ફાયદો થયો છે. ચૂંટણીમાં પરાજય પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ભારતના લોકોએ નક્કી કર્યું છે કે, દેશના આગાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે અને હું તેનું પૂરેપુરૃં સન્માન કરું છું.' મોદીને અભિનંદન પાઠવતા રાહુલે કહ્યું કે, 'આજનો દિવસ પરાજયના કારણો શોધવાનો નહીં, પરંતુ દેશવાસીઓની ઈચ્છાનું સન્માન કરવાનો છે.'
આ પરિણામની સાથે જ હવે રાહુલ ગાંધીના નેતૃત્વ અને કોંગ્રેસ પાર્ટીના ભવિષ્ય સામે સવાલ ઊભા થવા લાગ્યા છે. પત્રકાર પરિષદમાં આ મુદ્દાઓ અંગે જવાબ આપવાનો ઈનકાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પાર્ટી શુક્રવારે ભવિષ્ય અંગે એક બેઠક કરશે. અગાઉ સમાચાર આવ્યા હતા કે, રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી છે, પરંતુ પછી પાર્ટી તરફથી તેનું ખંડન કરાયું હતું.