મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

ઓક્સિજન-વેક્સિનના કસ્ટમ ડ્યુટી-હેલ્થ ટેક્સને હટાવાયા

દેશમાં કોરોનાની વકરેલી સ્થિતિ બાદ અંતે સરકાર જાગી : ઓક્સિજનની ભારે અછતને જોતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૨૪ : કેન્દ્ર સરકારે ઓક્સિજન અને તેની સાથે સંકળાયેલા સાધનો તથા વેક્સીન પર કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસને હટાવી લીધો છે. દેશમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ અને ઓક્સિજનની ભારે અછતને જોતા કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવાની છે. આ ઉપરાં ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કોવિડ વેક્સીન અને ઓક્સિજનની આયાત પર લગાવવામાં આવતી કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસને હટાવી લીધો છે. આમાં ઓક્સિજન સંબંધીત અન્ય સાધનો જેવા કે જનરેટર, સ્ટોરેજ ટેક્ન, ફિલિંગ સિસ્ટમ પણ સામેલ છે. કસ્ટમ ક્લિયરન્સ સાથે જોડાયેલી બાબતો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

કેન્દ્રએ જણાવ્યું છે કે, આ નિર્ણયથી આ બધી વસ્તુઓની ઉપલબ્ધતા સરળ બનશે અને તેના ભાવમાં પણ ઘટાડો થશે. નોંધનીય છે કે દેશમાં હાલમાં બે વેક્સીન આપવામાં આવી રહી છે. આ બંને વેક્સીન દેશમાં જ બની રહી છે. જેમાં હૈદરાબાદ કંપની ભારત બાયોટેક કોવેક્સિન બનાવે છે જ્યારે બીજી પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કોવિશિલ્ડ બનાવી રહી છે. સરકારે રશિયાની સ્પુતનિક વેક્સીનને પણ મંજૂરી આપી છે જેનું ઉત્પાદન હૈદરાબાદની વિર્કો બાયોટેક કરશે.

નોંધનીય છે કે દેશમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસના કારણે મોટા ભાગના રાજ્યોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં પૂરતો ઓક્સિજન ન હોવાના કારણે દર્દીઓ મરી રહ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશમાં ઓક્સિજનની માંગમાં ભારે વધારો થયો છે અને સરકાર આ માંગને પૂરી કરવા માટે કામ કરી રહી છે.

(9:08 pm IST)