મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

'મુકિત ભવન'અને 'તિતલી'જેવી ફિલ્મોના અભિનેતા લલિત બહલનું કોરોનાથી નિધન

અભિનેતા લલિત બહલને ૧૨ દિવસ માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઇ,તા. ૨૪: ફિલ્મ 'મુકિત ભવન'માં બનારસના ઘાટમાં જીવનની મુકિતની આશ રાખવાવાળા વ્યકિતનું પાત્ર નિભાવી અને પોતાના રોલ માટે ચારેબાજુ થી વાહવાહી મેળવનાર અભિનેતા લલિત બહલનું  અને કોરોના ચેપને કારણે દિલ્હીના સરિતા વિહારની  એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે.

'મુકિત ભવન'ઉપરાંત, ૭૧ વર્ષીય લલિત બહલે પણ યશ રાજ બેનર હેઠળ બનેલી એક અલગ જ પ્રકારની પારિવારિક ફિલ્મ 'તિતલી'માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર વાત એ છે કે 'તિતલી'નું દિગ્દર્શન લલિત બહલના પુત્ર કનુ બહલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફિલ્મ 'તિતલી'માં તેના પિતા લલિત બહલને દિગ્દર્શિત કરનાર કનુ બહલે તેના પિતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, 'બે અઠવાડિયા પહેલા પિતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમને કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પછી, જાણવા મળ્યું કે તેમના ફેફસાંમાં ખરાબ રીતે ચેપ લાગ્યો છે. તે હૃદયને લગતી બીમારીઓનો પણ શિકાર હતા.'

અભિનેતા લલિત બહલને ૧૨ દિવસ માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે લલિત બહલની પત્નીને પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો, જેની સારવાર અલગ હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. કનુ બહલે કહ્યું, 'માતા હવે કોરોનાથી સ્વસ્થ થઈ છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.'

લલિત બહલે 'મુકિત ભવન'માં આદિલ હુસૈનના પિતાની ભૂમિકા ભજવી હતી. તેમને યાદ કરીને આદિલે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ઘાંજલિ વ્યકત કરી હતી – 'મારા સૌથી પ્રિય અને ખૂબ જ આદરણીય સહ-કલાકાર લલીત બહલના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. તેમણે મુકિત ભવનમાં મારા પિતાની ખૂબ સારી ભૂમિકા ભજવી હતી.  તેમની  વિદાય તેના પિતાને ફરી ગુમાવવા જેવું છે. પ્રિય કનુ, હું તમારા ખોટ માટે ખૂબ દિલગીર છું!

નોંધનીય છે કે લલિત બહલે કોલેજના અભ્યાસ દરમિયાન તેના મિત્રો સાથે પંજાબમાં થિયેટર જૂથની સ્થાપના કરી હતી. અનેક નાટકોનું દિગ્દર્શન કરવા ઉપરાંત તેમણે અસંખ્ય નાટકો અને સિરિયલોમાં પણ અભિનય કર્યો. લલિત બહલે વિવિધ સિરીયલો પણ લખી અને દિગ્દર્શિત કરી અને વિવિધ ચેનલો માટે સિરિયલ અને ટેલી ફિલ્મો પણ બનાવી.

(10:11 am IST)