ભારતમાં ૧૦માંથી ૭ પરિણીત મહિલાનું બહાર અફેર
હોય જ નહિ... સર્વેમાં ચોંકાવનારા ખુલાસા : ૧૩ ટકા મહિલાઓએ કહ્યું 'હા, લગ્નેત્તર સંબંધ બાંધ્યા છે': નીરસ લગ્નજીવન અફેર માટે સૌથી વધુ જવાબદાર
નવી દિલ્હી, તા.૨૪: એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેન દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલ એક સર્વે મુજબ ભારતમાં ૧૦ પૈકી ૭ મહિલાઓ કોઈને કોઈ કારણસર પોતાના પતિને દગો આપે છે અને લગ્નેત્તર સંબંધ બાંધે છે. જેમાં જુદા જુદા અનેક કારણો જવાબદાર હોય છે જેવા કે ઘરના કામકાજમાં પતિનો વધુ રસ ન લેવો, લગ્ન જીવન નીરસ થઈ જવું મુખ્ય કારણો છે.
ગ્લીડેન નામની આ ડેટિંગ એપ ભારતમાં ૫ લાખથી વધુ લોકો નિયમિત રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ એપ દ્વારા 'મહિલાઓ લગ્નેત્તર સંબંધ કેમ બાંધે છે' આ શિર્ષક હેઠળ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે બેંગલુરુ, મુંબઈ અને કોલકતા જેવા મહાનગરોમાં આવી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં છે જે પોતાના પતિને દગો આપે છે.
ગ્લીડેનના માર્કેટિંગ એકસપર્ટ સોલેન પેલેટે કહ્યું કે, '૧૦ માંથી ૪ મહિલાઓનું માનવું છે કે કોઈ અજાણ્યા સાથે થોડા સમયના સંબંધથી તેમના જીવનસાથી સાથેના લગ્નસંબંધો વધુ મજબૂત બન્યા છે.' ૫ લાખ ભારતીય ગ્લીડન યુઝર્સ પૈકી ૨૦ ટકા પુરુષો અને ૧૩ ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો આપ્યાની વાત સ્વીકારી છે.
ગ્લીડન એપને ૨૦૦૯માં ફ્રાંસમાં લોંચ કરવામાં આવી હતી. ભારતમાં આ એપ ૨૦૧૭માં આવી અને ફકત ૨ વર્ષના ગાળામાં તેના કુલ યુઝર્સ પૈકી ૩૦ ટકા ભારતીયો છે. આ એપના યુઝર્સમાં ૩૪ વર્ષથી લઈને ૪૯ વર્ષની પરિણીત મહિલાઓ છે. ગ્લીડેન યુઝર્સ ભારતીય મહિલાઓ પૈકી ૭૭% જણાવ્યું કે પોતાના પતિને દગો આપવા પાછળનું મુખ્ય કારણ તેમનું લગ્ન જીવન નીરસ થઈ ગયું હતું. લગ્ન જીવન બહાર એક સાથી મળવાથી તેમના જીવનમાં ઉત્સાહ વધ્યો હતો.
સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે ભારતમાં પારંપરિક વિવાહથી આગળ વધીને ઘણા એવા વિવાહિતો પણ છે જે આ એપની મદદથી સમલૈંગિંક સાથીઓ શોધવામાં સફળ રહ્યા છે.