ઇન્કમ ટેક્સ દ્વારા ટોચની બેન્કોને મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવનાર ગ્રાહકોને અપાયેલી ફ્રી સર્વિસ પર ટેક્સ ચૂકવવા જણાવાયું: આ માટેની નોટિસ પણ ઇશ્યુ કરાઇ
નવી દિલ્હીઃ ટેક્સ વિભાગે એસબીઆઇ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સહિત દેશની ટોચની બેન્કોને મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવનાર ગ્રાહકોને અપાયેલી ‘ફ્રી સર્વિસ’ પર ટેક્સ ચૂકવવા જણાવ્યું છે. આ ટેક્સ પશ્ચાદ્વર્તી અસરથી લાગુ થશે અને તેનો આંકડો કરોડો રૂપિયામાં પહોંચશે.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGST) દ્વારા શો-કોઝ નોટિસ આપવામાં આવી છે અને અન્ય બેન્કોને પણ નોટિસ પહોંચાડવામાં આવશે. ટેક્સ છેલ્લાં પાંચ વર્ષ માટે લેવામાં આવશે, આ સમયગાળા માટે સર્વિસ ટેક્સના જૂના કેસ ખોલી શકાતા હોય છે.
મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ન રાખવી શકતા ગ્રાહકો પાસેથી બેન્કો દ્વારા જે ચાર્જ ઉઘરાવવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને ટેક્સની ગણતરી કરવામાં આવી છે. લઘુતમ બેલેન્સ રાખનારા માટે એકાઉન્ટ દીઠ ચાર્જને બેન્ક દ્વારા ગ્રાહકને અપાતી સર્વિસનું મૂલ્ય ગણવામાં આવ્યું છે અને આ રકમ પર ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
બેન્કોને ચિંતા છે કે તેઓ ગ્રાહકો પાસેથી પાછલી અસરથી ટેક્સ રિકવર નહીં કરી શકે. ટેક્સને માન્યતા મળશે તો ભવિષ્યમાં તેનો બોજ ગ્રાહક પર આવશે. બેન્કો ટેક્સ ડિપાર્ટમેન્ટના ક્લેમનો વિરોધ કરે તેવી શક્યતા છે. તે સરકાર સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવશે તેમ એક અધિકારીએ કહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, કેટલીક નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે અને બીજી નોટિસની પ્રક્રિયા ચાલુ છે. આવા ચાર્જ લેતી તમામ બેન્કોને શો-કોઝ નોટિસ ઇશ્યૂ કરવામાં આવશે.
એક્સિસ બેન્કના પ્રવક્તાએ કહ્યું કે અમને આવી નોટિસ મળી છે. અમારા માનવા પ્રમાણે તે સમગ્ર ઉદ્યોગને લાગુ પડે છે. અમે અત્યારે નિષ્ણાતો સાથે તેની ચકાસણી કરી રહ્યા છીએ. એસબીઆઇ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કને મોકલવામાં આવેલા ઇ-મેઇલના જવાબ મળ્યા ન હતા.
આ નોટિસમાં જીએસટી અગાઉના સમયગાળાને પણ આવરી લેવાયો છે જ્યારે સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો તેમ એક અધિકારીએ કહ્યું હતું. તેમના માનવા પ્રમાણે બેન્કો પરની કુલ ટેક્સ જવાબદારી લગભગ ₹6,000 કરોડની હશે. જોકે બેન્કર્સ માને છે કે કુલ ટેક્સ બોજ તેના કરતાં પણ વધુ હશે.
DGGSTએ બેન્કો દ્વારા ગ્રાહકોને અપાતી કેટલીક સર્વિસ અંગે તપાસ શરૂ કરી હતી. અમુક સેવાઓ માટે બેન્કો ચાર્જ વસૂલે છે અને મિનિમમ બેલેન્સ જાળવનારને ચાર્જમાંથી મુક્તિ મળે છે.